ભાજપના દલિતોના કાર્યક્રમમાં દલિત સમાજના ક્યા કેબિનેટ મંત્રી, સાંસદને જ નિમંત્રણ ન મળ્યું ? જાણો વિગત

અમદાવાદઃ ગત 10મી સપ્ટેમ્બરે વીર મેઘમાયાના ધાર્મિક સ્થાનના વિકાસ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જોકે, ભાજપના સાંસદ ડો. કિરીટ સોલંકી દ્વારા યોજાયેલા દલિત સમાજના આ કાર્યક્રમમાં ભાજપના જ બે દિગ્ગજ દલિત નેતાઓને આમંત્રણ મળ્યું નહોતું.
આ કાર્યક્રમમાં સરકારે 3 કરોડની કરેલી જાહેરાત બાદ મુખ્યમંત્રી રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું દલિત સમાજ દ્વારા સન્માન કરાયું હતું. નોંધનીય છે કે, વીર મેઘમાયા જેવા ધાર્મિક સ્થળના વિકાસ માટે 15મી ઓગસ્ટે સરકારે આર્થિક સહાયની જાહેરાત કરી હતી.
નર્મદા હોલ ખાતે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો.કિરીટ સોલંકી દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. જોકે, આ કાર્યકમમાં સન્માન, સામાજિક ન્યાય અને અધિકરિતા મંત્રી ઈશ્વર પરમાર, રાજ્યસભાના સાંસદ અને ઝાંઝરકાના ગાદીપતિ શંભુ પ્રસાદ ટુન્ડીયાને આમંત્રણ ન મળતા તેઓ હાજર રહ્યા નહોતા.
જેને લીધે એવી વાતો વહેતી થઈ હતી કે ભાજપના દલિત નેતાઓમાં આંતરિક વિવાદ ચાલી રહ્યો છે. બીજી તરફ આ ઘટનાને સાંસદ કિરીટ સોલંકી છુપાવવાનો પ્રયાસ કરાયો હતો અને દલિત નેતાઓમાં કોઈપણ પ્રકારની નારાજગી ન હોવાનું જણાવ્યું હતું.