ભાજપમાં જોડાવા અંગે બાપુ બોલ્યા, 'હું કૉંગ્રેસમાં જઈશ એવું પણ કોઈએ ધાર્યું નહોતું.........', બીજું શું કહ્યું ?
શંકરસિંહ વાઘેલાની આ કોમેન્ટના કારણે એવી અટકળો તેજ બની છે કે બાપુએ લોકોને આંચકો આપવાનું નક્કી કરી નાંખ્યું છે અને ભાજપમાં જોડાઈને અણધાર્યું પગલું ભરવાનો નિર્ણય લઈ લીધો છે. બાપુ આ બધા સંકેતો આપીને પોતાના વફાદારોને ભાજપમાં જોડાવા માટે તૈયાર રહેવા સંકેત આપી રહ્યા છે તેવું સૌ માને છે.
કોંગ્રેસ માટે બાપુ પક્ષમાં રહે એ જરૂરી છે. આ વર્ષનું ગુજરાતની વિધાનસભાની ચૂંટણી પોતાની ઇચ્છા મુજબ અને પોતાની સ્ટ્રૅટેજી મુજબ લડવા માટે કૉન્ગ્રેસ તૈયાર થાય એવી શંકરસિંહ વાઘેલાની ઇચ્છા છે, પણ કૉન્ગ્રેસ હજી એ માટે તૈયારી દેખાડતી ન હોવાથી ભાજપમાં તેમના ફરી પ્રવેશનાં દ્વાર પણ ખુલ્લાં રહેવા દીધાં છે.
મુંબઈના એક સાંધ્ય દૈનિકના અહેવાલ પ્રમાણે, શંકરસિંહ બાપુને ભાજપમાં જોડાવા અંગે સવાલ પૂછાયો ત્યારે એના જવાબમાં શંકરસિંહે હસતાં-હસતાં કહ્યું હતું કે 'હું કોંગ્રેસમાં જઈશ એવું પણ કોઈએ ધાર્યું નહોતું. જાહેર જીવનમાં કોઈ ઘટના એવી બને તો એને અણધારી ગણવી ન જોઈએ અને એવું કોઈએ ધારવું પણ ન જોઈએ.'
શંકરસિંહ વાઘેલાના નજીકનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે, બાપુને ભાજપમાં પાછા ફવા માટે કહેવામાં આવ્યું એ સાચું છે, પણ અત્યારે બન્ને પક્ષે વાત ચાલી રહી છે, બંને પક્ષોએ પોતપોતાની શરતો મૂકી છે અને કોણ કેટલું જતું કરે છે તેના પર બધો આધારત છે. શંકરસિંહ વાઘેલાને પાર્ટી ન છોડવા માટે કૉન્ગ્રેસ પણ સમજાવી રહી છે.
શંકરસિંહ વાઘેલાએ શનિવારે તેમના ટ્વિટર-અકાઉન્ટ પરથી ભાજપની ટીકા કરતી તમામ ટ્વીટ હટાવી દીધી હતી તો પોતાના ફેસબુક-પેજ પરથી પણ તેમના નામે કરવામાં આવેલી ભાજપની ટીકા પણ હટાવી દીધી છે. આ બાબતે તેમણે સ્પષ્ટતા કરી કે મને એના વિશે મને કાંઈ ખબર નથી. જો કે આ વાત કોઈ માનવા તૈયાર નથી.
અમદાવાદઃ ગુજરાતમાં કોંગ્રેસના વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા ભાજપ સાથે સીધા સંપર્કમાં છે અને ભાજપમાં જોડાય એવી શક્યતા છે એવી વાતો લાંબા સમયથી ચાલી રહી છે. આ વાતો વચ્ચે શંકરસિંહે કરેલી એક કોમેન્ટના કારણે બાપુ ભાજપમાં જોડાઈ રહ્યા હોય તેવી વાતોને હવા મળી રહી છે.