અમિત શાહને કયા કેસમાં 18મી સુધીમાં હાજર રહેવા પાઠવાશે સમન્સ? જાણો વિગત

માયાબહેને અરજી આપી હતી કે, બચાવના સાક્ષી અમિતભાઇ અનિલચંદ્ર શાહ કે જેઓ ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ છે. કામોમાં વ્યસ્ત હોવાના કારણે તેમનો સંપર્ક થઇ શકતો નથી અને તે કારણસર તેમને નામદાર કોર્ટ સમક્ષ હાજર રાખવા અંગેનો સમન્સ કયા સરનામે બજાવવો તે પણ નક્કી કરી શકાય તેમ નથી. અમિત શાહની વ્યસ્તતાના કારણે તેમનો સંપર્ક થઇ શક્યો ન હોવાથી તેમને બચાવ પક્ષના સાક્ષી તરીકેનો તપાસવાનો અમારો હક્ક ૧૨ સપ્ટેમ્બર સુધી ઉભો રાખવો અને અમને મુદત આપવી જોઇએ.
સુનાવણીના અંતે કોર્ટે આ અરજી ગ્રાહ્ય રાખી હતી. જેથી અમિત શાહને પણ સાક્ષી તરીકે આ કેસમાં હાજર રહેવાનું છે. મોટા ભાગના બચાવ પક્ષના સાક્ષીઓની જુબાની થઇ ચુકી છે પરંતુ અમિત શાહની જુબાની હજુ સુધી લેવાઇ નથી.
આ અરજી પછી સ્પેશિયલ કોર્ટે અમિત શાહને ૧૮મીએ હાજર રહેવા સમન્સ પાઠવવા આદેશ કર્યો છે. ઉપરાંત તેમના થલતેજના નિવાસ્થાને સમન્સ ઇસ્યુ કરવા એડ્રેસ પણ કોર્ટમાં રજૂ થયું છે. આવતી કાલે પીએમ મોદી અમદાવાદની મુલાકાતે આવવાના છે ત્યારે અમિત શાહની હાજરી પણ સૂચિત છે તેથી તે જ દિવસે તેમને સમન્સની બજવણી કરાય તેવી શક્યતા છે.
અમદાવાદ: નરોડા ગામ હત્યા કેસમાં બચાવ પક્ષે રજૂ કરેલા સાક્ષીઓની એક પછી એક જુબાની થઇ રહી છે. આ કેસમાં આરોપી ડો.માયાબહેન કોડનાનીએ તેમના સાક્ષીના લીસ્ટમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને દર્શાવ્યા હતા. જો કે, હવે અમિત શાહ વ્યસ્ત હોવાને કારણે અને તેઓનો સંપર્ક થતો ન હોવાથી મુદત માગતી અરજી કરવામાં આવી હતી.
નરોડા ગામ હત્યા કેસમાં આરોપી અને પૂર્વ મંત્રી માયાબહેન કોડનાની તરફે એડવોકેટ અમિત પટેલે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરી હતી અને અમિત શાહ સહિત ૧૪ વ્યક્તિઓને બચાવ પક્ષના સાક્ષી તરીકે સમન્સ ઇસ્યૂ કરવા રજૂઆત કરી હતી. જેમાં નરોડા ગામની ઘટના બની તે સમયે માયાબહેન ઘટના સ્થળે નહીં પરંતુ જુદી જુદી જગ્યાએ હાજર હતા તેના સાક્ષીઓ પણ હોવાનો મુદ્દો કોર્ટ સમક્ષ ઉભો કરવામાં આવ્યો હતો.