રાહુલ ગાંધી ક્યા વચનમાંથી ફરી જતાં બાપુએ ફરી શક્તિ પ્રદર્શનનો નિર્ણય લીધો ? જાણો વિગત
કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને ભાજપમાં લઇ જવાની બીક આપીને બાપુ કોંગ્રેસને ડરાવવા માગે છે. બાપુના સમર્થકો વંકાય તો ભાજપનો ત્રીજો ઉમેદવાર પણ જીતી જાય ને કોંગ્રેસના ઉમેદવાર હારી જાય તેમ છે. આ રીતે બાપુ કોંગ્રેસ હાઈકમાન્ડને બ્લેકમેઈલ કરવા માગે છે તેવી છાપ કોંગ્રેસ હાઈકમાન્ડ સમક્ષ પડી છે.
રાહુલ ગાંધીએ એ વખતે બાપુને ખાતરી આપી હતી કે 19 જુલાઇ સુધીમાં સંગઠનના માળખામાં ફેરફારો કરવામાં આવશે પણ આ મુદત પૂરી થવામાં છે છતાંય હાઇકમાન્ડે કોઇ પગલાં લીધાં નથી. પરિણામે બાપુએ ફરી જન્મદિનના બહાને સંમેલન બોલાવી હાઈકમાન્ડને ચીમકી આપવા શક્તિ પ્રદર્શન કરવા નક્કી કર્યું છે.
ગુજરાતમાં રાજયસભાના ત્રણ સભ્યોની ટર્મ પૂરી થઇ રહી છે અને 8 ઓગષ્ટે આ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. અહેમદ પટેલ, સ્મૃતિ ઇરાની અને દિલીપ પંડયા એમ ત્રણ સભ્યોની ટર્મ પૂર્ણ થઇ રહી છે. ભાજપ કોંગ્રેસના જૂથવાદનો લાભ લેવા માંગે છે ને શંકરસિંહે પણ લાભ ઉઠાવીને કોગ્રેસનું નાક દબાવવા માટે જન્મદિને સંમેલન બોલાવ્યું છે.
આ શક્તિ પ્રદર્શન પછી કોંગ્રેસ હાઈકમાન્ડ માની જશે તો બાપુ કોંગ્રેસ નહીં છોડે, નહીંતર કોંગ્રેસને રામ રામ કરી દેશે. જો કે કોંગ્રેસનાં જ સૂત્રોનું કહેવું છે કે. કોંગ્રેસ હાઇકમાન્ડ પણ બાપુની શરતો માનવા તૈયાર નથી. રાજ્યસભાની ચૂંટણી સમયે જ કોંગ્રેસનું નાક દબાવવા બાપુએ પ્રયત્નો કર્યા તેથી હાઈકમાન્ડ ખફા છે.
શંકરસિંહ વાઘેલાએ આ વખતે કોંગ્રેસ હાઈકમાન્ડ સામે આક્રમક તેવર દાખવ્યા છે તેનું કારણ રાહુલ ગાંધી તેમના વચનમાંથી ફરી ગયા તે છે તેવું કોંગ્રેસનાં સૂત્રોનું કહેવું છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે કે, રાહુલ ગાંધી સાથેની આખરી બેઠકમાં બાપુએ સંગઠનના માળખા સહિતના અન્ય મુદ્દે પગલાં લેવા રજૂઆત કરી હતી.
અમદાવાદઃ છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાં વિખવાદ ચાલ્યા કરે છે અને વિધાનસભામાં વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વંકાયેલા છે. શંકરસિંહ વાઘેલાએ પોતાના જન્મદિને ગાંધીનગરમાં સમર્થકોને એકઠા કરવાનું એલાન કર્યું છે. શંકરસિંહ 21 જુલાઇએ જન્મદિને જ રાજીનામુ ધરી કોંગ્રેસને અલવિદા કરે તેવી શક્યતા છે.