આણંદના ખંભાતમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, ઘર-દુકાનો સળગાવાયા
જેથી પોલીસે સ્થળ પર પહોચી ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિને નિયંત્રણમાં લીધી છે. આ ઘટનામાં બે પોલીસ કર્મીને પણ ઇજા થઇ છે. તેમને સારવાર આપવામાં આવી રહી છે. હાલ ચાર એસ.આર.પીની ટીમને ખંભાત મોકલવામાં આવી છે અને પરિસ્થિતિ નિયંત્રણમાં છે. આ ઘટના બાદ રાત્રે 9 થી સવારે 9 વાગ્યા સુધીનો કર્ફ્યું લાદવામાં આવ્યો છે.
આ ઘટના અંગે રેન્જ આઈજીએ જણાવ્યું કે, ભાઈ બીજના દિવસે સાંજે આ ઘટના બની છે, એક ટેમ્પો અને છકડા વચ્ચે અકસ્માતને પગલે આ ઘટના બની હતી, જે બાદ બે જુથ વચ્ચે પથ્થપરમારો થયો હતો, બાદમાં કેટલીક દુકાનો-વાહનો પણ સળગાવવામાં આવ્યા હતા.
પોલીસે પણ પરિસ્થિતિને પહોચી વળવા માટે ટીયરગેસના સેલ છોડવાની ફરજ પડી હતી. પરિસ્થિતિની ગંભીરતાને જોતા સ્થળ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સ્થિતિનો તાગ મેળવવા રેન્જ આઇ.જી, જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા છે. હાલમાં પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને સવારે 9 વાગ્યા સુધી કરફ્યુ જાહેર કરાયો છે અને સલામતી માટે એસઆરપીની 4 ટીમ પણ ઉતારવામાં આવી છે.
ખંભાતઃ આણંદના ખંભાતમાં સામાન્ય બાબતે હિંદુ-મુસ્લિમ વચ્ચે જૂથ અથડામણની ઘટના સામે આવી છે. ભાઈબીજના રોજ બપોર બાદ થયેલ જૂથ અથડામણને પગલે ઘર, દુકાનો અને વાહનોને નિશાન બનાવી આગચંપી અને પથ્થરમારો કરાતા ભયનો માહોલ સર્જાયો હતો.
ખંભાતના પીઠ બજારમાં અચાનક બે કોમના લોકો વચ્ચે સામાન્ય વાતચીતમાં અથડામણ સર્જાઈ હતી. જોતજોતામાં બે જૂથના લોકો એકબીજા પર તૂટી પડ્યા અને બંને જૂથના લોકોએ એક બીજા પર ભારે પથ્થરમારો કરતા માહોલ ગરમાયો હતો. આ સાથે રસ્તા પર પડેલા પાંચ જેટલા વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. જ્યારે કેટલાક ઘરોમાં પણ આગ લગાવતા આ વિસ્તારમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઇ હતી.