ભગવાન ભોળાનાથનો હિન્દુ ધર્મમાં અનોખો મહિમા છે. જેના કારણે દેશભરમાં ઘણા મંદિરો નિર્માણ પામ્યા છે. દેશના જુદા જુદા ભાગોમાં નિર્માણ પામેલા આ મંદિરોમાં હિન્દુ ધર્મના ભક્તો આખા વર્ષ દરમિયાન ભીડ રહે છે. પરંતુ આપણા દેશમાં ભગવાન ભોળાનાથનું એક મંદિર એવું પણ છે, જ્યાં હિન્દુઓ તેમ જ મુસ્લિમો પણ પૂજા અર્ચના કરવા જાય છે. આવો જાણીએ આ અદભૂત મંદિર વિશે.


ક્યાં આવેલું છે મંદિર

આ મંદિર ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આવેલું છે. ગોરખપુર જિલ્લાથી 25 કિલોમીટર દૂર ખજની શહેરની પાસે સરિયા તિવારી નામનું એક ગામ છે. આ ગામમાં ભગવાન ભોળાનાથનું આવું અદભૂત શિવલિંગ છે. જેની પૂજા હિન્દુ અને મુસ્લિમ બંને ધર્મોના લોકો દ્વારા ખૂબ આદર સાથે કરવામાં આવે છે.

આ કારણે મુસલમાનો કરે છે શિવલિંગની પૂજા

મુસ્લિમો દ્વારા આ શિવલિંગની પૂજા પાછળનું કારણ એ છે કે આ શિવલિંગની ઉપર ઉર્દૂ ભાષામાં એક કલામા ‘लाइलाहाइल्लललाह मोहम्मदमदुर्र रसुलुल्लाह’  (ઇસ્લામનું પવિત્ર વાક્ય માનવામાં આવે છે) લખાયેલું છે. આ કારણે મુસ્લિમ સમુદાયના લોકો આ મંદિરમાં રમઝાન મહિનામાં અલ્લાહની પ્રાર્થના કરવા જાય છે.

આ કારણે મહમૂદ ગઝનવીએ શિવલિંગ પર કલમા કોતરી હતી

એવું કહેવામાં આવે છે કે જ્યારે મહમૂદ ગઝનવી ભારત પર આક્રમણ કરી રહ્યો હતો અને ભારતના મંદિરોને લૂંટતો હતો ત્યારે તેને પણ આ મંદિર વિશે જાણ થઈ હતી. અહીં પહોંચ્યા બાદ તેણે મંદિરનો વિનાશ કરીને શિવલિંગનો નાશ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ગઝનવીની આખી સેના પણ શિવલિંગને જડમૂળથી ઉખેડી નાખવામાં અસમર્થ સાબિત થઈ. કારણ  સેના જેટલું ઉંડુ ખોદકામ કરતી હતી તેટલું શિવલિંગ વધતું હતું. શિવલિંગને જડમૂળથી ઉખેડી નાંખવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા પછી ગઝનવીએ આ શિવલિંગ ઉપર કલમા કોતરાવી દીધો હતો. ગઝનવીનો આ શિવલિંગ પર કલમાને કોતરવાનો એક માત્ર હેતુ હતો કે હિન્દુ ધર્મના લોકો આ શિવલિંગની પૂજા ન કરી શકે તેવો હતો. પરંતુ આજના સમયમાં આ શિવલિંગ સાંપ્રદાયિક સુમેળનું ઉદાહરણ બની ગયું છે.