Ganesh Chaturthi 2021: હિંદુ ધર્મમાં ગણેશ પૂજાનું વિશેષ મહત્વ છે. ગણેશ પૂજા ગણેશ ચતુર્થીના દિવસે કરવામાં આવે છે. હિન્દું પંચાગ મુજબ ભાદરવા સુદ 4 ના દિવસે ગણેશ ચતુર્થી મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે આ તિથિ 10 સપ્ટેમ્બરે આવે છે. આ દિવસે ગણપતિની સ્થાપના કરવામાં આવશે. ભક્તો ગણપતિ બાપાની પૂજા માટે મૂર્તિ સ્થાપિત કરીને તેની પૂજા કરે છે અને ભગવાન શ્રીગણેશનો જન્મોત્સવ મનાવે છે. તેનાથી ભગવાન ગણેશ પ્રસન્ન થઈને ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન ગણપતિનો આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે.


ગણપતિ સ્થાપના માટે શુભ મુહૂર્ત


ગણપતિની સ્થાપના શુભ મુહૂર્તમાં કરવી જોઈએ. પંચાગ અનુસાર ગણપતિ બાપાની સ્થાપના 10 સપ્ટેમ્બરે બપોરે 12 વાગ્યા ને 17 મિનિટથી લઈ રાતે 10 વાગ્યા સુધી કરી શકાય છે. ધાર્મિક માન્યતા મુજબ શુભ મુહૂર્ત પર ગણપતિનું સ્થાપન કરવાથી ઘરમાં ખુશી આવે છે. ઉપરાંત મનોકામના પણ પૂર્ણ કરે છે.


પૂજા વિધિ


ગણેશ પૂજા માટે ભક્તોએ સૂર્યોદય પહેલા સ્નાન કરીને સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. જે બાદ ગણપતિ સામે બેસીને પૂજા પ્રારંભ કરો. તેમનું ગંગાજળથી અભિષેક કરો. જે બાદ ચોખા, ફૂલ, દૂર્વા વગેરે અર્પિત કરો. તેમની પ્રિય ચીજ મોદકનો ભોગ લગાવો. જે બાદ ધૂપ, દીપ તથા અગરબત્તી કરીને તેમની આરતી કરો. ગણેશજીના મંત્રોનો જાપ કરો, જે બાદ ફરી આરતી કરો અને પૂજા સમાપ્ત કરો.


ગણેશ સ્થાપનામાં આ વાતો રાખો ધ્યાનમાં



  1. ગણેશ ચતુર્થી પર જો તમે ગણેશ સ્થાપના કરવાનું વિચારી રહ્યા હો તો માટીથી બનેલી પ્રતિમા પૂજા માટે શુભ માનવામાં આવે છે. આ ઉપરાંત તમે સોના, ચાંદી, તાંબામાંથી બનેલી ગણેશ મૂર્તિની પણ સ્થાપના કરી શકો છો. પ્લાસ્ટર ઓફ પેરિસ કે અન્ય મટિરિયલ્સમાંથી બનેલી મૂર્તિને પૂજામાં રાખવી અશુભ માનવામાં આવી છે. તેથી આવી મૂર્તિનું સ્થાપન ન કરો.

  2. ગણપતિની બેઠેલી પ્રતિમા વધારે ફળદાયી હોવાનું માનવામાં આવે છે. તેથી મૂર્તિ ખરીદતી વખતે આ વાતનો ખાસ ખ્યાલ રાખો.

  3. વામમુખી ગણપતિના પૂજા કરવાનું સરળ હોય છે. જ્યારે જમણીબાજુ સૂંઢવાળા ગણપતિની પૂજા માટે વિશેષ નિયમોનું પાલન કરવું પડે છે.

  4. ગણપતિની સફેદ કે સિંદૂરી રંગની પ્રતિમા લેવી શુભ હોવાની માન્યતા છે. તેથી જો શક્ય હોય તો આવી જ પ્રતિમા સ્થાપિત કરો.

  5. જો તમે ઓફિસ માટે ગણપતિ લેવાનો વિચાર કરી રહ્યા હો તો બાપાની ઉભેલી પ્રતિમા વધારે શુભ રહેશે. કહેવાય છે કે આવી પ્રતિમાના પૂજનથી સફળતા મળે છે અને પ્રગતિ થાય છે.

  6. સંતાન પ્રાપ્તિ માટે જો ગણપતિની સ્થાપના કરતા હો તો બાલ ગણેશની પ્રતિમા સ્થાપિત કરવી જોઈએ.