Hanuman Jayanti 2023:  હનુમાન જયંતિ દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ વખતે આ તહેવાર 6 એપ્રિલ, ગુરુવારે ઉજવવામાં આવશે. હનુમાન જયંતિ પર બજરંગબલીની પૂજા કરવાથી જીવનના સૌથી મોટા સંકટ દૂર થઈ શકે છે.



ગુજરાતનું એક માત્ર સુતેલા હનુમાનજીનું મંદિર અરવલ્લી જિલ્લાના મોડાસાના સાકરીયા ખાતે આવેલું છે. પ્રાચીન મંદિર સ્થાનકી શ્રી ભીડભંજન ગ્રામ વિકાસ ટ્રસ્ટ તથા સમસ્ત સાકરીયા ગ્રામજનો દ્વારા સાત કરોડના ખર્ચે ભવ્ય નિર્માણ કરાશે. આ મંદિરનું રૂ 7 કરોડના ખર્ચે ભવ્ય શિખરબદ્ધ નવ નિર્માણ કરવાની તૈયારીઓ હાથ ધરાઈ છે. જૂનું મંદિર હતું તેને પાડી દેવામાં આવ્યું છે ખાલી સુતેલા ભીડભંજન હનુમાનજીની મૂર્તિ ને જ ખસેડવામાં નથી આવી.  જ્યાં આ મંદિર 71 ફૂટ લંબાઈ,60 ફૂટ પહોળાઈ અને 51 ફૂટની ઊંચાઈ ધરાવતા ભવ્ય મંદિરના નિર્માણ માટે ભૂમિ પૂજન અને 4 દિશાઓમાં ચાર શીલા પૂજનની ઉછામણી સહિત મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.


હનુમાન જયંતિએ મારૂતિ યજ્ઞ


ચૈત્ર સુદ પુનમના પવિત્ર પર્વ સાકરિયાના આ પ્રસિદ્ધ ભીડ ભંજન હનુમાન મંદિરે ગુરુવાર એટલે કે 6 એપ્રિલ ના રોજ મારૂતિ યજ્ઞ અને મહાઆરતીનું આયોજન કરવામાં આવશે. તેને લઈ તડામાર તૈયારીઓ હાથ ધરાઈ છે. હનુમાન જયંતિ દિવસે સાકરીયા મંદિર ખાતે મોટી સંખ્યામાં ભક્તો ઉમટશે અને દાદાના દર્શન કરી ધન્યતા અનુભવશે.


ભારતમાં માત્ર બે જ જગ્યાએ છે સૂતેલા હનુમાનની મૂર્તિ


ભારતમાં સૂતેલા હનુમાનજીની મૂર્તિ ઉત્તરપ્રદેશનાં અલ્હાબાદ પ્રયાગરાજ ત્રિવેણી સંગમ ખાતે છે અને બીજી મૂર્તિ મોડાસાના સાકરિયા ગામે બિરાજમાન છે. 


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર હનુમાન જયંતિના દિવસે કેટલીક ભૂલોથી બચવું જોઈએ.



  • સુતક કાળમાં પૂજા: સુતક કાળમાં હનુમાનજીની પૂજા ક્યારેય ન કરવી જોઈએ. સુતક કાળ ગ્રહણના 12 કલાક પહેલા શરૂ થાય છે એટલું જ નહીં, પરંતુ તે ઘરમાં કોઈના મૃત્યુ પછી પણ માન્ય છે. વ્યક્તિના મૃત્યુ પછી ઘરમાં 13 દિવસ સુતકનો સમય હોય છે. આ સમયગાળા દરમિયાન હનુમાનજીની પૂજા કરવાની મનાઈ છે.

  • મહિલાઓનો સ્પર્શ: હનુમાન જયંતિના દિવસે મહિલાઓનો સ્પર્શ કરવાનું ટાળવું જોઈએ. આ દિવસે બ્રહ્મચર્યનું ખૂબ જ કડક પાલન કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ભગવાન હનુમાન સ્વયં સ્ત્રીઓનો સ્પર્શ કરતા નહોતા.  જો કોઈ મહિલા ઘરના મંદિરમાં પૂજા કરતી હોય તો તેણે પણ બજરંગબલીની મૂર્તિને સ્પર્શ ન કરવો જોઈએ.

  • ચરણામૃતથી સ્નાન: બહુ ઓછા લોકો જાણતા હશે કે હનુમાનજીની પૂજામાં ચરણામૃતનો ઉપયોગ ક્યારેય થતો નથી. હનુમાન જયંતિ પર બજરંગબલીને ચરણામૃતથી સ્નાન કરાવવાનું ટાળવું જોઈએ. તેમની પૂજામાં ચરણામૃત ચઢાવવાનું કોઈ વિધાન નથી.

  • કાળા અને સફેદ વસ્ત્રો ના પહેરો: બજરંગબલીની પૂજા કરતી વખતે કાળા કે સફેદ વસ્ત્રો ના પહેરો. તેના પરિણામો ખૂબ જ અશુભ હોઈ શકે છે. હનુમાનજીની પૂજા ફક્ત અને માત્ર લાલ રંગના વસ્ત્રો પહેરીને જ કરવી જોઈએ.

  • તૂટેલી કે ખંડિત મૂર્તિ: હનુમાન જયંતિ પર પૂજા માટે બજરંગબલીની તૂટેલી કે ખંડિત મૂર્તિનો ઉપયોગ ન કરો. જો તમારા ઘરના મંદિરમાં બજરંગબલીની આવી કોઈ મૂર્તિ હોય તો તેને તરત જ હટાવી દો. જો તમે આવી મૂર્તિને પાણીમાં પ્રવાહિત કરો તો સારું રહેશે.

  • મીઠું ટાળવું: તમારે હનુમાન જયંતિના દિવસે મીઠાનું સેવન ટાળવું જોઈએ. આ સિવાય તમારે એ ચીજવસ્તુઓ પણ ટાળવી જોઇએ જે તમે આ દિવસે દાન કર્યું હોય. હનુમાન જયંતિનું વ્રત રાખનારાઓએ દિવસ દરમિયાન ઊંઘ ન લેવી જોઈએ.

  • માંસ અને આલ્કોહોલ: હનુમાન જયંતિના દિવસે માંસ અને આલ્કોહોલનું સેવન ટાળવું જોઈએ. શારીરિક સંબંધો બનાવવાનું ટાળવું જોઇએ. ગુસ્સામાં કોઈની સાથે દુર્વ્યવહાર ન કરો. દરવાજે આવતા લોકોનું અપમાન ન કરો.