Dwarkeshlalji Maharajshree (Amreli)  Birthday : અમરેલી શહેરની મધ્યમાં આવેલી દ્વારકાધીશ હવેલી પુષ્ટિમાર્ગીય ધર્માત્માઓનું ૫વિત્રસ્‍થાન છે. આશરે 260 વર્ષથી પણ અધિક સમય ૫હેલાં અહીં શ્રીનાથજી ૫ધાર્યા હતા અને તેમના રથનું પૈડું અહીં થંભી જતાં તેઓ અહીં જ રોકાઈ ગયા હતાં. તે સમયે મહારાજા આનંદરાવજીએ તેમને જમીન ૫ણ આપી હતી. અહીં ઠાકોરજીનું નિધિ સ્‍વરૂ૫ છે. તેની સામે ગોપાલજીની પાદુકા પણ બિરાજમાન છે. હાલ દ્વારકેશલાલજી મહારજશ્રી તથા પુરુષોત્તમલાલજી મહારાજશ્રી અહિંના ગાદિ૫તિ છે.


અખંડ ભુમંડલાચાર્ય જગદગુરુ શ્રીમદ્ વલ્લભચાર્ય પ્રાગટ્ય પીઠ મહારાજ શ્રીદ્વારકેશલાલજી મહારાજશ્રીનું પ્રાગટ્ય ઇ.સ. 1964, વિક્રમ સંવત 2020, જેઠ સુદ 2નાં રોજ નિ.લી.પ્ર. શ્રી વ્રજજીવનલાલજી મહારાજશ્રી તથા નિ.લી.પ્ર. શ્રી જયાલક્ષ્મી વહુજીના ઘરે પ્રથમ સંતાન રૂપે થયું હતું. ચાલું વર્ષે આ તિથિ બુધવાર, તા.1 જૂન, 2022ના રોજ આવે છે. દ્વારકેશલાલજી મહારાજશ્રીનો 59મો પ્રાગટ્ય દિન ધામધૂમથી ઉજવાશે.




10 વર્ષની વયે જનોઈ પ્રસ્તાવ


ઈ.સ. 1974માં 10 વર્ષની ઉંમરે આપશ્રીનો જનોઈ પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો. આપશ્રીના લગ્ન શ્રીવંદના વહુજી સાથે  ઈ.સ. 1983માં થયા હતા. 20માં વર્ષે વિવાહ થતાં જ શ્રીદ્વારકાધીશ પ્રભુની સેવા તેમજ સંસારની બધી જ જવાબદારી સાથે સ્વીકારી હતી.




સાહિત્યમાં પણ છે આપશ્રી પારંગત  


આપશ્રીની આજ્ઞાથી અત્યાર સુધીમાં અનેક મનોરથો સિદ્ધ થયાં છે. પુષ્ટિમાર્ગના પ્રચાર અને પ્રસાર માટે આપશ્રીએ અત્યાર સુધીમાં અનેક શ્રીમદ્ ભાગવત્ વચનામૃત શ્રી સુબોધિનીજી પર આધારિત વચનામૃત કથા, શિક્ષાપત્ર મહોત્સવ કરી ચૂક્યા છે. આપશ્રીના સાનિધ્યમાં ઘણા છપ્પનભોગ થઈ ચૂક્યા છે. આ ઉપરાંત શ્રી યમુનાજી વિશે સંપૂર્ણ માહિતી આપતું પુસ્તક શ્રી યમુના સર્વસ્વ, ગોપીજનોના વિરહની ભાવના વ્યક્ત કરતું નીશદિન બરસત નૈન હમારે, નવદંપતિને ઉપયોગી થાય તેવું ધન્ય ગૃહાસ્થશ્રમ, પુષ્ટિ પરિમલ, ગોપી પ્રેમકી ધ્વજા સહિત ઘણા પુસ્તકો લખી ચૂક્યા છે. આમ સાહિત્ય નિર્માણમાં પણ આપશ્રીનું મહત્ત્વનું પ્રદાન છે. પુષ્ટિમાર્ગના પ્રસાર માટે આપશ્રીએ અનેક વિદેશ યાત્રા પણ કરી છે.




આપશ્રીની કથાની છે આ વિશેષતા


પૂ. દ્વારકેશલાલજી મહારાજશ્રીની કથામાં ખૂબી એ છે કે ભાગવતજી એક જ હોવા છતાં કથા ક્યારેય એકસરખી  લાગે નહીં. સંગીતની વિવિધતા, ઉદાહરણોમાં નવીનતાના પરિણામે આપશ્રીની કથામાં હંમેશાં નૂતનતાનો અનુભવ થાય છે. તેમણે ભૌતિક જીવનમાં અનેક યાતનાઓથી ઘેરાયેલાં લોકોને સાચો રાહ બતાવી પ્રભુપ્રેમના રસ્તે ચાલતાં કરીને સત્સંગ અને સેવાનું સાચું મૂલ્ય સમજાવ્યું છે. પૂ. દ્વારકેશલાલજી મહારજશ્રીએ નાની ઉંમરથી જ પોતાની પાસે જે કіઈ હોય તેમાંથી જરૂરિયાતમંદને આપવામાં કદી પાછી પાની કરી નથી. કુદરતી આપત્તીઓ વખતે માનવીઓને મદદ કરવાની ટેવ ધરાતા દ્વારકેશલાલજી મહારજશ્રી વ્યક્તિગત રીતે બીજાના ઉત્થાન માટે આપશ્રી હંમેશા તૈયાર રહે છે.  કોરોના મહામારી હોય કે સુરતમાં આવલું પૂર હોય કે પછી કચ્છમાં આવેલો ભૂકંપ દ્વારકેશલાલજી મહારાજશ્રી નાત-જાતના ભેદભાવ વગર સામાજિક કાર્ય કરતાં આવ્યા છે. આ ઉપરાંત જ્યારે જ્યારે પણ દેશ-વિદેશમાં કુદરતી આફતો આવી છે ત્યારે આપશ્રીએ મદદ કરવામાં પાછું વળીને જોયું નથી. 




આપશ્રી વૈષ્ણવો પ્રત્યે અપાર પ્રેમ અને કરુણા વરસાવી નિરંતર વૈષ્ણવોનાં ભાવ પોષણ માટે તત્પર રહો છો. વૈષ્ણવ સંપ્રદાયનાં વિદ્વાનો દ્વારા અનેક વિધકથાઓનાં આયોજનો તેમજ સાંસ્કૃતિક આયોજનો કરી અનેક વૈષ્ણવોને આપશ્રીએ માર્ગમાં સ્થિર કર્યા છે.