Shatabdi Mahotsav Ahmedabad: પ્રધાનમંત્રી  નરેન્દ્ર  મોદીના હસ્તે પ્રમુખસ્વામી શતાબ્દી મહોત્સવનો પ્રારંભ થશે. આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના હસ્તે પ્રમુખસ્વામી મહારાજ જન્મ શતાબ્દી મહોત્સવનું ઉદઘાટન થશે.  આજે સાંજે પાંચ વાગ્યે ઉદઘાટન કરવામાં આવશે. સાંજના 5થી 7.30 વાગ્યા સુધી ઉદઘાટન સમારોહ ચાલશે.ઉદ્ઘાટન સમારોહ દરિમિયાન  ત્રણ હેલિકોપ્ટરથી પુષ્પવર્ષા કરાશે.



હેલિકોપ્ટર મારફત પુષ્પવર્ષા


પીએમ મોદી અને મહંતસ્વામીની નિશ્રામાં શાસ્ત્રોક્ત વિધિ દ્વારા પૂજાપાઠ અને વિધિ કરીને રિબીન કાપીને મહોત્સવની શરૂઆત કરવામાં આવશે. પૂજ્ય મહંતસ્વામી મહારાજ સહિતના સંતો, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ હાજર રહેશે.  દેશ-વિદેશના હરિભક્તો અને મહેમાનનું સ્વાગત કરવામાં આવશે. 600 એકરમાં ફેલાયેલા આ શતાબ્દી મહોત્સવનું પ્રધાનમંત્રી  મોદી બુધવારે ઉદઘાટન કર્યા બાદ આખા નગર પર હેલિકોપ્ટર મારફત ગુલાબોથી પુષ્પવર્ષા કરવામાં આવશે. આ પ્રસંગને લઈ BAPS દ્વારા ત્રણ હેલિકોપ્ટર બુક કરવામાં આવ્યાં છે. આકાશમાં કલરિંગ ફોર્મેશન પણ કરવામાં આવશે.


1 મહિનામાં 3 લાખ જેટલા NRI આવશે


શતાબ્દી મહોત્સવમાં સામેલ થવા માટે 1 મહિનામાં કુલ 3 લાખ જેટલા NRI આવશે. અમદાવાદની તમામ ફાઇવસ્ટાર હોટલના 90 ટકા અને અને ફોરસ્ટાર હોટલોના 70 ટકા જુદી જુદી કેટેગરીના રૂમ બુક થઈ ગયા છે.  20 હજાર રૂમનું એડવાન્સ બુકિંગ કરાવી દેવામાં આવ્યું છે.  ફાઇવસ્ટાર હોટલોમાં પ્રથમ વખત સ્વામિનારાયણ ફૂડની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 


24 દેશના પ્રધાનમંત્રીઓને આમંત્રણ

શતાબ્દી મહોત્સવમાં દેશ-વિદેશના ખૂણેખૂણેથી લોકો હાજરી આપશે.  24 દેશના પ્રધાનમંત્રીઓને આમંત્રણ  આપવામાં આવ્યું છે. એરપોર્ટ પર મોટી સંખ્યામાં ચાર્ટર્ડ વિમાનોની આવ-જાવન રહેશે.


અમદાવાદમાં સરદાર પટેલ રિંગ રોડ પર ઓગણજ નજીક પ્રમુખસ્વામી જન્મ શતાબ્દી મહોત્સવનું ભવ્ય આયોજન થયું છે. હરિભક્તો અને લોકો સરળતાથી પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે તેના માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત AMTS બસની વ્યવસ્થા કરવામાં આવી છે. નાગરિકો ઓગણજ પ્રમુખસ્વામીનગર સુધી પહોંચી શકે એના માટે બોપલના વકીલ સાહેબ બ્રિજથી AMTSમાં લોકો જઈ શકે તેના માટે સ્પેશિયલ 20થી વધુ બસો મુકવામાં આવશે. માત્ર 10 રૂપિયા જેટલું નજીવું ભાડું તેના માટે રાખવામાં આવ્યું છે. શહેરના વિવિધ સ્થળોએથી પ્રમુખસ્વામીનગર સુધી લોકોને લાવવા લઇ જવા નજીવા ભાડાથી બસો લેવામાં આવી છે. સ્વામિનારાયણ સંપ્રદાય અને જે પણ હરિભક્તો દ્વારા બસો માંગવામાં આવશે તેમ ફાળવવામાં આવશે. અમદાવાદમાંથી પ્રમુખસ્વામીનગર આ લોકોને અને સ્વયંસેવકોને આવવા જવા માટે આશરે 250 જેટલી બસો ફાળવવામાં આવી છે.


શહેરના જુદા-જુદા રેલ્વે સ્ટેશનો જેવા કે, કાલુપુર, સાબરમતી, મણિનગર તેમજ જુદા-જુદા બસ સ્ટેશનો જેવા કે, ગીતામંદિર, રાણીપ, કૃષ્ણનગર, ઝાંસીની રાણી થીપ્રમુખ સ્વામીનગર ખાતે આવવા-જવા માટે જરૂરીયાત મુજબ બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં આવેલી સ્વામિનારાયણ સંસ્થાઓમાંથી દર્શનાથીઓને પ્રમુખસ્વામીનગર ખાતે આવવાજવા માટે પ્રતિ બસ દીઠ 4000ના દરથી બસો ફાળવવામાં આવશે. શહેરના લાલદરવાજા, વાડજ, વાસણા, સારંગપુર, કાલુપુર વગેરે જગ્યાઓ પરથી ઉપડતી રૂટોની બસોમાં આવનાર દર્શનાથીઓ માટે બોપલ વકીલ સાહેબબ્રિજથી પ્રમુખસ્વામીનગર સુધી પ્રતિ વ્યક્તિ 10 રૂપિયાની કિંમતથી આવવા-જવા માટે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.