રામ


મારા શબ્દોનું ખોટું અર્થઘટન થાય ત્યારે ઘણી ગેરસમજો ઊભી થાય છે


'માનસ દ્વાદશ જ્યોતિર્લિંગ' કથામાં રામેશ્વરમ ખાતે પૂજ્ય મોરારી બાપુએ પીડા સાથે ઉપરોક્ત શબ્દો ઉચ્ચાર્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી પૂજ્ય મોરારી બાપુની દ્વાદશ જ્યોતિર્લિંગ રામકથા ચાલી રહી છે અને તે દરમ્યાન પત્રકારો દ્વારા બાપુને એવું પૂછવામાં આવતું રહે છે કે એમની કથા સાંભળી કેટલા લોકોમાં પરિવર્તન આવે છે ? આવા પ્રશ્નોના જવાબ રૂપે બાપુ કહેતા હોય છે કે હું પ્રાથમિક શાળામાં શિક્ષક રહ્યો છું અને કોઈ બાળકને ત્રીસગુણ મળે તો પાંચ કૃપાગુણ ઉમેરી પાસ કરી શકાય. એમ જો કથામાં શ્રોતાઓમાં ૩૦ ટકા પરિવર્તન થાય તો બાકીના પાંચ ગુણ મહાદેવ ઉમેરીને તેને પાસ કરશે. બાકી અન્ય કોઈ વ્યક્તિ,સંસ્થા કે વિચારધારા વિશે હું કયારેય નથી બોલ્યો. એમનો જવાબ સ્પષ્ટપણે કથાના શ્રોતાઓના સંદર્ભમાં હોય છે પરંતુ બાપુએ કહ્યું કે ક્યારેક ક્યારેક આ વાત જુદા જ ક્ષેત્રને લાગૂ કરવામાં આવે ત્યારે ઘણી મોટી ગેરસમજ ઉભી થતી હોય છે. એમણે કહ્યું હતું કે એમનો જવાબ કથા સાથે જોડાયેલા યુવાન શ્રોતાઓના સંદર્ભમાં હોય છે. 


     બાપુએ જણાવ્યું હતું કે એમની વ્યાસપીઠ સૌની સાથે એક પ્રમાણિક અંતર જાળવે છે અને સૌના માટે આદર ધરાવે છે. તેમ છતાં ક્યારેક કોઈ વાત જુદી રીતે પ્રસ્તુત કરવામાં આવે અને જે ગેરસમજ ઉભી થાય તે સર્વથા દુઃખદાયક હોય છે. આમ આજની કથામાં એમણે  આ પરિસ્થિતિ અંગે રંજ વ્યક્ત કર્યો અને તેનો અફસોસ પણ પૂજ્ય બાપુએ આજે વ્યક્ત કર્યો હતો.