Union Budget 2024-25: નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25નું સામાન્ય બજેટ રજૂ કરી દીધુ છે. બજેટમાં રેલવે માટે કોઈ મોટી જાહેરાત કરવામાં આવી નથી. બજેટ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે સામાન્ય બજેટ અમૃતકાળનું મહત્વનું બજેટ હશે. તે પાંચ વર્ષ માટે આપણી દિશા નિર્ધારિત કરશે અને 2047 સુધીમાં વિકસિત ભારતનો પાયો નાખશે.


મોબાઇલ ફોન થશે સસ્તાં - 
નાણામંત્રી નિર્મલા સીતારમણે ટેક ઈન્ડસ્ટ્રીને મોટી રાહત આપી છે. 2024નું બજેટ રજૂ કરતી વખતે તેમણે કહ્યું હતું કે મોબાઈલ ચાર્જર અને મોબાઈલ ફોન પરની કસ્ટમ ડ્યૂટી ઘટાડવામાં આવશે. તેમણે કહ્યું કે મોબાઈલ ફોન અને ચાર્જર જેવી વસ્તુઓ પરની કસ્ટમ ડ્યૂટી 15 ટકા સુધી ઘટાડવામાં આવશે, ત્યારબાદ મોબાઈલ ફોન અને ચાર્જરની કિંમતમાં મોટો ઘટાડો થઈ શકે છે.


મોબાઇલ પાર્ટ્સની ફીમાં છૂટછાટ - 
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે છેલ્લા 6 વર્ષમાં સ્થાનિક ઉત્પાદનમાં ઘણો વધારો થયો છે, તેથી તેને પ્રોત્સાહન આપવા માટે, મોબાઇલ પાર્ટ્સ, પીવીસી અને મોબાઇલના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવાતા ભાગો પરની કસ્ટમ ડ્યુટી 15 ટકા ઘટાડવામાં આવશે. .


ભારત બનશે સ્માર્ટફોનનું સૌથી મોટુ માર્કેટ  
નાણામંત્રીની આ જાહેરાત બાદ ભારત વિશ્વનું સૌથી મોટું મોબાઈલ મેન્યુફેક્ચરિંગ હબ બની શકે છે. હજુ પણ ભારતમાં દર મહિને કરોડો મોબાઈલ ફોનનું ઉત્પાદન થઈ રહ્યું છે પરંતુ આ બજેટ પછી તેમાં વધુ વધારો થવાની આશા છે. ઘણી મોબાઈલ કંપનીઓ ભારતમાં તેમના ફોનનું ઉત્પાદન કરી રહી છે, જેમાં Apple, Samsung, Xiaomi, Google, Oppo, Realme જેવી કંપનીઓનો સમાવેશ થાય છે. આ નિર્ણયથી ચીનની હાલત ખરાબ થશે, કારણ કે અત્યારે ચીન સૌથી વધુ ઈલેક્ટ્રોનિક પ્રૉડક્ટ્સનું ઉત્પાદન કરી રહ્યું છે પરંતુ સરકારના આ નિર્ણયથી ભારત ચીનનું સ્થાન લઈ શકે છે.


લોકોને મળશે રોજગાર 
મેન્યૂફેક્ચરિંગમાં વધારો થવાથી લોકોને રોજગારી પણ મળશે, કારણ કે નવા પ્લાન્ટ્સ સ્થપાશે અને પહેલાથી અસ્તિત્વમાં રહેલા પ્લાન્ટ તેમની ઉત્પાદન ક્ષમતા વધારશે. ઓછી કસ્ટમ ડ્યૂટીનો ફાયદો એ છે કે ભારતમાં ઉત્પાદન કરવું સરળ બનશે, કારણ કે કાચો માલ અન્ય દેશોમાંથી આવે છે. સરકારના આ નિર્ણયથી ચીનને મોટું નુકસાન થશે.