Pradhan Mantri Mudra Yojana Benefits: દેશમાં ચાલી રહેલી વિવિધ યોજનાઓ દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ આપવામાં આવે છે. આ માટે ભારત સરકાર ઘણી યોજનાઓ ચલાવે છે, જેમાંથી એક પ્રધાનમંત્રી મુદ્રા યોજના છે. આ યોજના વિશે આજે એટલે કે 23 જુલાઈ 2024 ના રોજ નાણાપ્રધાન નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે મુદ્રા લૉનને લઈને મોટી જાહેરાત કરી હતી. આ લૉનની લિમીટને વધારી દેવામાં આવી છે. જાણો આ લૉન માટે શુ છે અપડેટ અને નવી જાહેરાતથી કોને તેનો લાભ મળશે.


વાસ્તવમાં, નાણામંત્રી નિર્મલા સીતારમણે સંસદમાં બજેટ રજૂ કરતી વખતે જાહેરાત કરી હતી કે હવે મુદ્રા લૉન 20 લાખ રૂપિયા સુધી મળશે. જ્યારે પહેલા આ લૉન મર્યાદા 10 લાખ રૂપિયા સુધીની હતી. આવી સ્થિતિમાં મુદ્રા લૉન લેનારા લોકોને આ જાહેરાતનો સીધો ફાયદો મળી શકે છે. ખાસ વાત છે કે દેશમાં મુદ્રા લૉન લઇને કેટલાક નવા સ્ટાર્ટઅપ્સ આગળ વધ્યા છે, નવા વેપાર અને ધંધાને વેગ મળ્યો છે. નવીન સાહસ કરનારા લોકો માટે મુદ્રા લૉન મદદરૂપ સાબિત થાય છે. જાણો આ મુદ્રા લૉન યોજના વિશે...


શું છે આ યોજના ? 
વાસ્તવમાં, પ્રધાનમંત્રી મુદ્રા યોજના કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આ અંતર્ગત લોકોને નવો બિઝનેસ શરૂ કરવા માટે ગેરંટી વિના 10 લાખ રૂપિયા સુધીની લૉન આપવામાં આવે છે. જો કે આજે બજેટમાં આ મર્યાદા 10 લાખ રૂપિયાથી વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.


ક્યારે શરૂ થઇ હતી આ યોજના ?
ભારત સરકારે આ યોજના વર્ષ 2015માં શરૂ કરી હતી. આ યોજનાનો સીધો ફાયદો એ લોકોને થાય છે જેઓ સંસાધનોના અભાવે પોતાનો નવો વ્યવસાય શરૂ કરી શકતા નથી.


યોજના હેઠળ લાભાર્થીને મુદ્રા કાર્ડ મળે છે. મુદ્રા કાર્ડનો ઉપયોગ ડેબિટ કાર્ડની જેમ જ થાય છે. આ કાર્ડની મદદથી તમે તમારા બિઝનેસ સંબંધિત ખર્ચ માટે પૈસા લઈ શકો છો.


યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા અને દસ્તાવેજો


આ યોજનામાં કોઈપણ ભારતીય નાગરિક જેની ઉંમર 24 થી 70 વર્ષની વચ્ચે છે તે અરજી કરી શકે છે. લોન એપ્લિકેશન દ્વારા તમારે આધાર, પાન કાર્ડ, પાસપોર્ટ, સરનામાનો પુરાવો વગેરેની જરૂર પડશે. આ યોજના માટે અરજી કરવા માટે, mudra.org.in ની સત્તાવાર વેબસાઇટ પર જાવ અને ફોર્મ ડાઉનલોડ કરો. પછી ફોર્મમાં બધી માહિતી દાખલ કરો અને તેને તમારી નજીકની સરકારી અથવા ખાનગી બેન્કમાં સબમિટ કરો. બેન્ક તમામ દસ્તાવેજો જોયા પછી તમારી લોન મંજૂર કરશે.