8 રાજ્યોમાં હવે દર રવિવારે બંધ રહેશે પેટ્રોલ પંપ, 14 મેથી થશે શરૂઆત

ચેન્નઈઃ દેશના આઠ રાજ્યમાં દર રવિવારે પેટ્રોલ પંપ બંધ રહેશે. તેની શરૂઆત 14 મેથી થશે. પેટ્રોલ પંપ માલિકોની એક સંસ્થાએ મંગળવારે જણાવ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઓઈલ સંચય કરવાની હાકલને પગલે આ નિર્ણય કરવામાં આવ્યો છે.
થોડાક વર્ષો અગાઉ રવિવારે પેટ્રોલ પમ્પોને બંધ કરવાની તેમની યોજના હતી. પરંતુ ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ એ નિર્ણય અંગે ફેરવિચારણા કરવા અમને કહ્યું હતું. હવે અમે રવિવારે પમ્પો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે તેમ સંગઠનના વડા સુરેશ કુમારે કહ્યું છે.
તામિલનાડુ, કેરળ, કર્ણાટક, પુડુચેરી, આંધ્રપ્રદેશ, તેલંગણા, મહારાષ્ટ્ર અને હરિયાણા સહિત દેશના આઠ રાજ્યોમાં પેટ્રોલ પમ્પો દર રવિવારે બંધ રહેશે તેમ પંપના માલિકોના એક સંગઠને કહ્યું છે.
પર્યાવરણને બચાવવા માટે વડાપ્રધાને તાજેતરમાં તેમના રેડિયો કાર્યક્રમ 'મન કી બાત'માં ઓઇલને બચાવવાની વાત કરી હતી. તે જોતાં સંગઠને આ નિર્ણય લીધો છે તેમ જણાવતાં કુમારે ઉમેર્યું હતું કે ૧૪ મેથી આ આઠ રાજ્યોમાં આશરે ૨૦,૦૦૦ પેટ્રોલ પમ્પો ૨૪ કલાક માટે બંધ રહેશે. જોકે આનાથી માત્ર તામિલનાડુમાં જ એક રવિવારે વેપારમાં ~ ૧૫૦ કરોડની ખોટ થશે.