GST પહેલા સરકારનો મોટો ઝટકોઃ PPF, KVP, NSC જેવી નાની બચતના વ્યાજમાં કર્યો ઘટાડો
એકથી પાંચ વર્ષની ટર્મ ડિપોઝીટ પર વ્યાજના દર ઘટાડીને ૬.૮-૭.૬ ટકા કરી દેવાયા છે. પાંચ વર્ષની રિકરિંગ ડિપોઝીટ પર મળતું વ્યાજ ઘટાડીને ૭.૧ ટકા કરી દેવાયું છે. બચત થાપણો પર વ્યાજદર વાર્ષિક ૪ ટકા યથાવત્ રાખવામાં આવ્યા છે. નાની બચત યોજનાઓના વ્યાજદરોમાં ઘટાડો કરવાથી હવે બેન્કો ડિપોઝીટના દર પણ ઘટાડશે તેવી શક્યતા છે.
નવી દિલ્હીઃ સરકારે જીએસટીનો અમલ થાય તે પહેલા જ લઘુ મોટા ઝટકો આપ્યો છે. સરકારે નાની બચત યોજનાઓ જેમ કે, પીપીએફ, કિસાન વિકાસ પત્ર અને સુકન્યા સમૃદ્ધિ યોજનાઓ પર વ્યાજ દરમાં 0.1 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર માટે લાગુ રહેશે. કહેવાય છે કે, આ નિર્ણયને પગલે બેંક પણ એફડીના વ્યાજમાં ઘટાડો કરી શકે છે.
હવેથી પીપીએફ, કિસાન વિકાસ પત્ર પર ૭.૯ ટકાને બદલે ૭.૮ ટકા વ્યાજ મળશે. કિસાન વિકાસ પત્ર પર ૭.૬ ટકાને બદલે હવે ૭.૫ ટકા વ્યાજ જ મળશે. સીનિયર સિટિઝન સેવિંગ્સ સ્કીમ અને સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પણ વ્યાજના દર ઘટાડી દેવાયા છે. આ બન્ને પર હવે ૮.૩ ટકા જ વ્યાજ મળશે. અગાઉ તેના પર ૮.૪ ટકા વ્યાજ મળતું હતું.