HDFC બેંકે પણ બચત ખાતા પરના વ્યાજ દરમાં કર્યો ઘટાડો, 50 લાખ સુધીની જમા રકમ પર મળશે 3.5 ટકા વ્યાજ
નવી દિલ્હીઃ ખાનગી ક્ષેત્રની એચડીએફસી બેંકે બચત ખાતા પરના વ્યાજ દર 0.5 ટકા ઘટાડીને 3.5 ટકા કર્યો છે. આ ઘટાડો 50 લાખ રૂપિયા સુધીની જમા રકમ પર લાગુ પડશે. બેંક 50 લાખ રૂપિયાથી વધારેની જમા રકમ પર 4 ટકાના દરે વ્યાજ આપશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા દેશની સૌથી મોટી બેંક એસબીઆઈ ઉપરાંત એક્સિસ અને બેંક ઓફ બરોડાએ પણ વ્યાજ દરમાં ઘટાડો કર્યો હતો.
એચડીએફસી બેંકે નિયામકીય સૂચના જણાવ્યું કે, બચત દરની સમીક્ષા બાદ જે ગ્રાહક પોતાના ખાતામાં 50 લાખ રૂપિયા અથવા તેનાથી વધારે રકમ રાખશે તેને વાર્ષિક 4 ટકાના દરે વ્યાજ મળસે. જે ગ્રાહકના ખાતામાં 50 લાખ રૂપિયાથી ઓછી રકમ હશે તેને 3.5 ટકા વ્યાજ મળશે.
સંશોધિત વ્યાજ દર ડોમેસ્ટિક અને એનઆરઆઈ ગ્રાહકો પર લાગુ પડશે. નવા દર 19 ઓગસ્ટથી લાગુ થઈ જશે. ઉલ્લેખનીય છે કે, આ પહેલે એસબીઆઈએ એક કરોડ રૂપિયાથી ઓછી રકમ બચત ખાતામાં હોવા પર વ્યાજ દર 0.5 ટકા ઘટાડીને 3.5 ટકા કર્યો હતો. ઉપરાંત એક્સિસ બેંકે તથા સાર્વજનિક ક્ષેત્રની બેંક ઓફ બરોડાએ પણ બચત ખાતા પર 0.5 ટકાનો ઘટાડો કર્યો છે. આ ઘટાડો 50 લાખ રૂપિયા સુધીની રકમ બચત ખાતામાં રાખનારાઓ માટે કરવામાં આવ્યો છે. તેનાથી વધારે રકમ રાખવા પર 4 ટકાના દરે વ્યાજ મળશે.