UIDAIની નવી જાહેરાતઃ ચહેરાથી પણ આધાર વેરિફિકેશન થઈ શકશે, 1 જુલાઈથી થશે અમલ
નવી દિલ્હીઃ આધારની સુરક્ષા માટે વર્ચ્યુઅલ આઈડી વિકલ્પની જાહેરાતના પાંચ દિવસ બાદ ચેહરાથી વેરીફિકેશનની સુવિધા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. યુઆઈડીએઆઈએ આધારની ઓળખ માટે આંગળીના નિશાન અને આંખની રેટીના ઉપરાંત ફેસ રેકગ્નાઈઝેશન પણ સામેલ કરી લીધું છે. આમ હવે ચહેરાથી પણ આધારનું વેરીફિકેશન કરાવી શકાશે. આ સેવા 1 જુલાઈથી અમલી બનશે.
ચેહરાની ઓળખ ફ્યૂઝન મોડમાં જ સ્વીકારાશે. એટલે કે ચેહરાની ઓળખથી આધારનું વેરીફિકેશન નહીં થાય. તેની સાથે આંગળીના નિશાન કે પછી આંખના રેટીના અથવા ઓટીપીમાંથી કોઈ એક વિકલ્પ હોવું જરૂરી છે. લેપટોપ અથવા મોબાઈલના કેમેરાથી પણ તસવીર ખેંચી શકાય છે એટલે એજન્સીઓને ઓળખ માટે કોઈ હાર્ડવેરની જરૂર નહીં પડે.
યુઆઈડીએઆઈએ કહ્યું કે નવી સુવિધા એવા લોકોના વેરીફિકેશનમાં મદદ કરશે જેમના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશનમાં ફિંગરપ્રિન્ટની મુશ્કેલીઓ, વૃદ્ધો અથવા ભારે કામ કરવાને લીધે સમસ્યા આવે છે. જરૂરિયાતના સમયે નવી સુવિધા પ્રાપ્ત કરવાની મંજૂરી અપાશે.
યુઆઈડીએઆઈના જણાવ્યાનુસાર અત્યાર સુધી 119 કરોડ આધાર નંબર જારી કરાયા છે. દરરોજ લગભગ 4 કરોડ આધારનું વેરીફિકેશન થઈ રહ્યું છે.