Vodafone-Ideaના મર્જરની વાતચીત અંતિમ તબક્કામાં, 25 ફેબ્રુઆરીએ થઈ શકે છે જાહેરાત
આંતરરાષ્ટ્રીય રેટિંગ એજન્સી ફિચના જણાવ્યાં અનુસાર ટેલિકોમ ક્ષેત્રે કટ્ટર પ્રતિસ્પર્ધા અને વધતાં મૂડી ખર્ચને લીધે તેણે આ ક્ષેત્રનું નેગેટિવ આઉટલૂક જાળવી રાખ્યું છે. આઈડીયા અને વોડાફોનના મર્જરથી થનારી બચતને લીધે સંયુક્ત ઈબીઆઈડીટીએ માર્જિનમાં 250-350 બેઝિસ પોઈન્ટ્સનો સુધારો થશે, ખાસ કરીને નેટવર્ક અને માર્કેટિંગ ખર્ચમાં.
વોડાફોન અને આઈડીયા વચ્ચેના મર્જરને લીધે રચનારી સંયુક્ત કંપની 350 બેઝિસ પોઈન્ટ્સ જેટલી ખર્ચની બચત કરી શકશે. જોકે આ પગલાંથી ટૂંકાગાળામાં કિંમત નિર્ધારણની ક્ષમતા તથા સંચાલન ક્ષેત્રે તેને કોઈ ખાસ લાભ નહીં થાય તેમ એક અહેવાલમાં જણાવાયું છે.
નવી દિલ્હીઃ દેશની બે દિગ્ગજ ટેલીકોમ કંપની Vodafone અને Ideaની વચ્ચે મર્જરની ડીલ એક મહિનાની અંદર ફાઈનલ થવાની સંભાવના છે. જો સૂત્રોનું માનીએ તો આ ડીલ 25 ફેબ્રુઆરી સુધીમાં પૂરી થવાની શક્યતા છે. તમને જણાવીએ કે આ મર્જર અંતર્ગત વોડાફોનના ભારતીય એકમ અને આઈડિયા સેલ્યુલરનું મર્જર થશે. આ ટેલીકોમ સેક્ટરની સૌથી મોડી ડીલ હશે. આ મર્જર બાદ બનનારી કંપની ટેલીકોમ ક્ષેત્રની દેશની સૌથી મોટી કંપની બની જશે જેના 40 કરોડથી વધારે ગ્રાહક હશે.
સૂત્રો દ્વારા મળેલી જાણકારી અનુસાર બંને કંપનીઓના પક્ષે સોદાને લગતી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે અને હવે જાહેરાતમાં મહિનાથી વધુ સમય લાગે તેમ નથી. જોકે વોડાફોન અને આઈડીયાએ આ મામલે કોઈ ટિપ્પણી કરવાનો ઈન્કાર કર્યો હતો. આ પ્રસ્તાવિત મર્જરની કામગીરી પાર પાડવા માટે બ્રિટિશ ટેલિકોમ કંપનીએ તેના ભારતીય કામગીરીના ભૂતપૂર્વ વડા માર્ટેન પીટર્સને જવાબદારી સોંપી છે.
પ્રસ્તાવિત મર્જરની વિગતો અંગે વોડાફોન ગ્રૂપના ચીફ એક્ઝિક્યુટિવ વિટોરીયો કોલાઓ પણ ભારતીય કંપનીના તમામ વડાઓને આવતા સપ્તાહે કોન્ફરન્સ કોલ દ્વારા સંબોધે તેવી શક્યતા છે. એક અંદાજ પ્રમાણે બંને કંપનીના ગ્રાહકોની સંયુક્ત સંખ્યા આશરે 39 કરોડ જેટલી થશે અને રેવન્યુ માર્કેટમાં તેમનો હિસ્સો આશરે 40 ટકા જેટલો થશે, જેમાં રેવન્યુ 11 અબજ ડોલર અને બીઆઈડીટીએ માર્જિન 28-30 ટકા રહેશે. વોડાફોન મુખ્યત્વે શહેરી વિસ્તારોમાં અને આઈડીયા ગ્રામીણ ક્ષેત્રે મજબૂત ગ્રાહક વર્ગ ધરાવતું હોઈ તેમના ગ્રાહક વર્ગનું પ્રમાણ વધુ સંતુલિત બનશે.