અરવલ્લી:  અરવલ્લી જિલ્લાના શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર અમદાવાદના બે કપલે હુમલો કરવાની ઘટના બની છે.  બેફામ બનેલ એક મહિલાએ પોલીસકર્મી પર નજીકમાં પડેલ લોખંડના પાઇપ વડે હુમલો કરતા પોલીસકર્મીને ઇજાઓ પહોંચી હતી. પોલીસકર્મીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. આ  સમગ્ર મામલે શામળાજી પોલીસે બે પુરુષ અને બે મહિલા સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. 


પોલીસકર્મીઓ પર હુમલાની ઘટના બની


શામળાજીના રતનપુર ચેકપોસ્ટ પર 25 તારીખના રાત્રિ દરમિયાન  પોલીસકર્મીઓ પર હુમલાની ઘટના બની હતી. જેનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયરાજસિંહ લાલસિંહ નામના કોન્સ્ટેબલ અન્ય પોલીસકર્મીઓ સાથે ધુળેટીની રાત્રે રતનપુર  ચેકપોસ્ટ પર ફરજ બજાવતા હતા ત્યારે રાજસ્થાન તરફથી આવતી બ્રેઝા કારને અટકાવી તપાસ કરવામાં આવી હતી. જેમાં કારની અંદર કપલ  હતું. તપાસ દરમિયાન પાછળથી એક હોન્ડા અમેઝ કારમાં કપલ આવ્યું હતું અને કાર અટકાવી બ્રેઝા કારમાં રહેલ બંને કપલે તેમની સાથે ઓવરટેક કરવા બાબતે ઝગડો કર્યો હોવાનું જણાતા ભયભીત કપલને અંદર પોલીસ ચોકીમાં પોલીસકર્મીએ બેસાડ્યા હતા.  


લોખંડની પાઈપ વડે હુમલો કર્યો


બ્રેઝા કારમાં રહેલ બે પુરૂષ અને બે મહિલાઓ ઝગડો કરવા લાગ્યા હતા. પોલીસ કોન્સ્ટેબલ જયરાજસિંહ સહિત અન્ય પોલીસે બંને કપલને સમજાવવા ગયા હતા ત્યારે  બંને કપલ ઉશ્કેરાઈ જઈ પોલીસકર્મીઓ સાથે મારપીટ કરી હતી.  તેમજ પોલીસને કેમ વીડિયો ઉતારો છો કહી પ્રીતિબા અર્જુનસિંહ ઝાલાએ  કોન્સ્ટેબલ જયરાજસિંહ પર લોખંડની પાઈપ વડે હુમલો કર્યો હતો. બંને કપલ દ્વરાા  ગડદા પાટુનો માર મારવામાં આવતા કોસ્ટેબલને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. 


સમગ્ર મામલે શામળાજી પોલીસ ઘટના સ્થળે પહોંચી બે પુરુષ તેમજ બે મહિલા સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.  તેમજ આ જે આરોપીઓ છે તેમાં સહદેવસિંહ ગણપતસિંહ જાડેજા સામે આ અગાઉ 15 ગુના નોંધાયેલા છે અને  અર્જુનસિંહ કનકસિંહ ઝાલા સામે 3 ગુના નોંધાયા છે.  હાલ આ બન્ને આરોપીઓને સાબરમતી જેલ ખસેડવામાં આવ્યા છે. 


અરવલ્લી જિલ્લાના શામળાજી રતનપુર ચેકપોસ્ટ પર ફરજ બજાવતા શામળાજી પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ પર અમદાવાદના બે કપલે હુમલો કરી વરદી ફાડી નાખી હતી. જ્યાં બેફામ બનેલી એક મહિલાએ પોલીસકર્મી પર નજીકમાં પડેલા લોખંડની પાઇપ વડે હુમલો કરતા પોલીસકર્મીના પગે ફ્રેક્ચર થયું હતું જ્યારે અન્ય પોલીસકર્મીની વરદી ફાડી નાખી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતા ભારે ચકચાર મચી હતી.