સુરેન્દ્રનગરઃ ચુડા ખાતે આવેલ કસ્તુરબા ગાંધી વિદ્યાલય (કેજીબીવી)માં અભ્યાસ કરતી અને રહેતી સગીર વિદ્યાર્થિનીએ હોસ્ટેલમાં ઝેરી દવા પીધા બાદ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. કેજીબીવી હોસ્ટેલમાં ઝેરી દવા પીને આત્મહત્યા કરતા સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ત્રણ દિવસની સારવાર બાદ હોસ્પિટલ ખાતે મોત નિપજ્યું હતું. 


કેજીબીવી વિદ્યાલય અને હોસ્ટેલમાં બહારથી કોઈ વસ્તુઓ લાવવા પર કડક નિયમો હોવા છતાં મૃતક વિદ્યાર્થિનીએ તેલની બોટલમાં ઝેરી દવા પી લેતા સંચાલકો સામે ઉઠ્યા સવાલો ? પરિવારજનો દ્વારા વિદ્યાલયના સંચાલકોની બેદરકારીને કારણે મોત નિપજયું હોવાનો આક્ષેપ કર્યો છે. ન્યાય નહીં મળે ત્યાં સુધી લાશને સ્વીકારવાનો ઈન્કાર કર્યો છે. 


તાપીઃ સોનગઢ તાલુકાના એક ગામની સગીરા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાના સમાચાર સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. 16 વર્ષની સગીરા પર પાદરીએ દુષ્કર્મ આચર્યું હતું. સોનગઢ પોલીસે પાદરી અને તેની પત્નીની ધરપકડ કરી લીધી છે. બલીરામ કોકણી નામના પાદરી અને તેની પત્નીની પોલીસે ધરપકડ કરી છે. ગત દિવસો દરમ્યાન પાદરીએ સગીરા પર 3 વખત દુષ્કર્મ આચર્યું હતું.


પત્નીએ વિડીયો ઉતારી આરોપી પતિની મદદગારી કરતા પત્નીની પણ ધરપકડ કરી છે. પોલીસે આરોપીનું મેડિકલ કરાવવાની કાર્યવાહી હાથ ધરી છે. 


સુરતઃ શહેરમાં ફરી એકવાર હત્યાનો મામલો સામે આવ્યો છે. સુરતના રાંદેર રોડ જૈનબ હોસ્પિટલ પાસે ખૂની ખેલ ખેલાયો હતો. સલીમ ચાવાળા નામક યુવાનની રીક્ષામાંથી લાશ મળી આવી છે. રાંદેર પોલીસ સ્ટેશનના પીઆઇ સહિત એસીપી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. મરનાર યુવાન કાદરશાની નાળ નવો રોડ વિસ્તારના રહેવાસી છે. પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.



યુવકની હત્યાને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ થતાં પરિવારજનો પણ દોડી આવ્યા હતા. તેમના આંક્રદથી શોકનો માહોલ છવાઇ ગયો હતો.


મોરબીઃ હળવદના ચરાડવા ગામે સળગાવી હાલતમાં કેનાલમાંથી મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હળવદ પોલીસે મૃતદેહ મળવા અંગે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા ઇસમે મૃતક કેશવજીભાઇ પસાયા (ઉ.૩૬) પેટ્રોલપંપ પાછળ વાળાને તિક્ષ્ણ હથિયાર વડે મારી મારી હત્યા કરી સળગાવી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હળવદ પીએસઆઈ રાજેન્દ્રદાન ટાપરિયાએ ફરિયાદી બની ગુન્હો નોંધાવ્યો હતો. 


આજે શનિવારે હળવદના ચરાડવા નજીક પાસે સમલી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાનની ઘાતકી રીતે હત્યા કરી લાશને સળગાવી કેનાલમાં ફેંકી દેવાતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, યુવકની હત્યા કોણે અને કેમ કરી તે હજુ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવશે.