સુરત: સુરત જિલ્લાના ઓલપાડના ઓભલા ગામ પાસે કાર ચાલક સાથે થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. પોલીસે ચાર મહિલા અને એક પુરુષની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી  તમામ લૂંટનો 28 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. ગાડી બંધ પડી ગઈ છે ધક્કો મારવાનું કહી ઘેની પદાર્થ સુંઘાડી લૂંટ કરાઈ હતી. 


સુરતના ઓલપાડ તાલુકાના ઓભલા ગામ પાસે એક લૂંટની ઘટના બની હતી. સુરતના ગૌરવપથ ખાતે રહેતા વેપારી  મનોજ રાજમલ ગોયલ ગઈકાલે પોતાની કારમાં ડ્રાયવર સાથે સુરતથી ભરૂચ તરફ જઈ રહ્યા હતા આ દરમિયાન ઓલપાડના ઓભલા ગામ પાસે એક કાર ચાલક અને મહિલાઓ રસ્તા પર ઉભા હતા અને ભોગ બનનારની કારને હાથ બતાવી ઉભી રાખી હતી. કાર ઉભી રહેતા નજીક આવી કાર ખરાબ થઈ ગઈ છે કહી ધક્કો મારવા જણાવતા કાર ચાલક ડ્રાઈવર નીચે ઉતર્યો હતો. 


નીચે ઉતરતા હાજર ચાર મહિલાઓ અને એક ઇસમે ડ્રાઈવર સાથે ઝપાઝપી કરી હતી અને તેને ઘેનનો પદાર્થ સુંઘાડી બેભાન કરી દીધો હતો. ત્યારબાદ ભોગ બનનાર નીચે ઉતરતા તેની સાથે પણ ઝપાઝપી કરી  ભોગ બનનારને પણ ઘેની પદાર્થ સુંઘાડી દઈ  તેમણે પહેરેલા 28 લાખની કિંમતના સોનાના ઘરેણાં તેમજ ઘડિયાળ લૂંટી ફરાર થઇ ગયા હતા. 


ભાનમાં આવતા તરતજ પોલીસને જાણ કરતા પોલીસ એક્ટિવ થઈ હતી અને બાતમીદારો થકી બાતમી મળતા પોલીસે તમામને કડોદરા ચાર રસ્તા નજીકથી ઝડપી પડ્યા હતા. આરોપીઓ પાસે તમામ 28 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


હીરાબજારમાં દલાલને શરીરમાં અચાનક ખંજવાળ શરુ થઈ,  મોપેડની ડીકીમાંથી 9.98 લાખ ગાયબ


સુરત શહેરમાં હીરાબજારમાં ચોરીની ઘટના સામે આવી છે.  અહીં કતારગામના હીરા વેપારી પાસેથી લીધેલા હીરા મહિધરપુરાના વેપારીને વેચી પેમેન્ટના રૂપિયા 9.98 લાખ મોપેડની ડીકીમાં મૂકી જતા દલાલને મહિધરપુરા હીરાબજારમાં શરીરે અચાનક ખંજવાળ શરૂ થતા મોપેડ સાઈડમાં ઉભું રાખી મોઢું ધોવા ગયા હતા. આ સમયગાળા દરમિયાન  મોપેડની ચાવી ઈગ્નીશનમાં જ રહી જતા અજાણ્યા શખ્સો ડીકીમાંથી રોકડા  9.98 લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. આ બનાવ અંગે મધરપુરા પોલીસે હીરા દલાલની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફુટેજ પણ સામે આવ્યા છે.           


મહિધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સુરતના મોટા વરાછા મીરા હોમ્સમાં રહેતા મૂળ અમરેલીના લાઠીના વતની તુષાર દિપકભાઈ નારોલા મહિધરપુરા હીરાબજારમાં હીરા દલાલીનું કામકાજ કરે છે. ગત તારીખ 29 જાન્યુઆરીના રોજ કતારગામ ખાતે હીરાનું કારખાનું ધરાવતા વિમલ લાભભાઈુ કેવડીયા નામની હીરા વેપારી પાસેથી રૂપિયા 9,98,052ની કિંમતના 216.26 કેરેટ હિરાનો માલ વેચાણ માટે લઈ ગયા હતા.  બીજા દિવસે 30મીના રોજ મહિધરપુરા હિરાબજારમાં ડાયમંડ પ્લાઝામાં ઓફિસ ધરાવતા રાકેશ કોટડીયાને હીરાનો માલ વેચ્યો હતો. 


વેપારીએ માલના પૈસા 6 ફેબ્રુઆરીના રોજ આપવાનો વાયદો આપ્યો હોવાથી તુષારભાઈ ગત તારીખ 6 ફેબ્રુઆરીના રોજ પેમેન્ટ લેવા માટે ગયા હતા અને વેપારી પાસેથી પેમેન્ટ લઈ પૈસા પ્લાસ્ટીકની થેલીમા રાખી તેને મોપેડીની ડીકીમાં રાખ્યા હતા. બાદમાં તુષારભાઈ મોપેડ લઈને રૂપિયા વિમલભાઈને તેમના કતારગામ ખાતેના કારખાને આપવા માટે નીકળ્યા હતા. આ દરમિયાન રસ્તામાં એકાએક તેમને ખંજવાળ અને બળતરા થવા લાગતા તેઓએ મોપેડ રોડની સાઈડમાં રાખ્યું હતું.