Yogi Adityanath: તૃણમૂલ કોંગ્રેસના નેતાએ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ચેતવણી આપી છે કે 'જો તેઓ બંગાળ આવશે તો અમે તેમનો ઘેરાવ કરીશું'. TMC નેતાની આ ચેતવણી વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદ સંકુલમાં વ્યાસજી ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાની મંજૂરી આપવામાં આવ્યાના થોડા દિવસો બાદ આવી છે. ટીએમસી નેતા સિદ્દીકુલ્લા ચૌધરીએ આ સાથે હિંદુઓને તાત્કાલિક જ્ઞાનવાપી મસ્જિદ ખાલી કરવાની અપીલ કરી છે.


જ્ઞાનવાપી મસ્જિદમાં પૂજા પર પ્રતિબંધ મૂકવાની માગણી સાથે કોલકાતામાં બોલાવવામાં આવેલી જમિયત ઉલેમા-એ-હિંદની રેલીમાં ચૌધરીએ સીએમ યોગી આદિત્યનાથના ઈરાદા પર સવાલ ઉઠાવ્યા અને કહ્યું કે જો તેઓ ક્યાંક અહીં આવશે તો તેમને બહાર જવા દેવામાં આવશે નહીં. ચૌધરીએ કહ્યું, 'આ લોકોએ (હિંદુઓએ) બળજબરીથી ત્યાં પૂજા શરૂ કરી છે. તેઓએ તરત જ જ્ઞાનવાપી મસ્જિદ ખાલી કરી દેવી જોઈએ.


ટીએમસી નેતાએ એમ પણ કહ્યું કે 'અમે કોઈ મંદિરમાં નમાઝ પઢવા નથી જતા... તો તેઓ અમારી મસ્જિદોમાં કેમ આવી રહ્યા છે? જો કોઈ અમારી મસ્જિદને મંદિરમાં ફેરવવા માંગે છે તો અમે ચૂપ નહીં રહીએ. આવું થવા નહીં દઈએ.' તેમણે એમ પણ પૂછ્યું કે, 'તે મસ્જિદ (જ્ઞાનવાપી) 800 વર્ષથી વધુ સમયથી છે. તેઓ તેને કેવી રીતે તોડી પાડશે?'



ટીએમસી નેતાની આ ચેતવણી વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટના નિર્ણય બાદ આવી છે, જેમાં તેણે જ્ઞાનવાપી મસ્જિદના દક્ષિણ ભોંયરામાં પૂજા કરવાની મંજૂરી આપી હતી. કોર્ટના આ આદેશ બાદ જ્ઞાનવાપી કેમ્પસમાં વ્યાસજીના ભોંયરામાં પૂજા અને આરતી વગેરેનો પ્રારંભ થયો હતો. મસ્જિદ સમિતિએ દલીલ કરી હતી કે આ બાબત પૂજાના સ્થળો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ, 1991 દ્વારા પ્રતિબંધિત છે. વ્યાસજીનું ભોંયરું જ્ઞાનવાપી મસ્જિદનો એક ભાગ છે. આવી સ્થિતિમાં પૂજાની આ માંગ સ્વીકાર્ય નથી અને તેને ફગાવી દેવી જોઈએ.


31 વર્ષ બાદ કરવામા આવી રહી છે ભગવાનની આરાધના


વારાણસી સ્થિત જ્ઞાનવાપી મસ્જિદ પરિસરમાં 31 વર્ષ બાદ પૂજા થઈ રહી છે. ગુરુવાર (1 ફેબ્રુઆરી) સવારે, લોકો પૂજા માટે ભોંયરામાં પહોંચ્યા. બુધવારે (31 જાન્યુઆરી) વારાણસીની ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી હિન્દુ પક્ષને મોટી રાહત મળી જ્યારે કોર્ટે પરિસરમાં હાજર ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવાનો આદેશ આપ્યો. હિંદુઓને જ્ઞાનવાપીના વ્યાસજીના ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર મળ્યો છે.