દાહોદ: જિલ્લામાં લૂંટ વીથ મર્ડરની ઘટના સામે આવી  છે. મોટી મહુડી ગામે બાઈક ઉપર જઈ રહેલા દંપતીને રાત્રિના સમયે માર મારી લૂંટ ચલાવી લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા. આ હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલ મહિલાનું મોત નિપજ્યું છે. જ્યારે તેમના પતિ પણ ગંભીર રીતે  ઘાયલ થયા છે. હાલમાં આ ઘટનાક્રમ શંકાસ્પદ જણાતા પોલીસે તપાસ હાથ ધરી છે.


દાહોદ જિલ્લામાં આજે સતત ચોથા દિવસે પાંચમી હત્યાનો કિસ્સો સામે આવતા સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચ્યો છે. પોલીસથી બેખોફ બની ગુનાખોરીના કિસ્સા વધતાં જોવા મળી રહ્યા છે ત્યારે જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના બની છે. આજે રોજ લૂંટ વિથ મર્ડરનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં ઝાલોદ તાલુકાના ધોળા ખાખરા ગામના શૈલેષ ડામોર તેમની પત્ની લલિતાબેન સાથે માલપુર પોતાના સાઢુને ત્યાથી પરત પોતાના ઘરે ધોળા ખાખરા  બાઇક ઉપર આવી રહ્યા હતા.


 તે દરમિયાન રાત્રિના સમયે શૈલેષએ પોતાના પરિવારજનોને ફોનથી સપર્ક કરી જણાવ્યું હતું મોટી મહુડી ખાતે સુમસાન રસ્તા ઉપર અજાણ્યા લૂંટારાઓએ તેમને રોકી બંને પતિ પત્નીને માર મારી શરીર ઉપર પહેરેલા સોના ચાંદીના દાગીના લૂંટ કરી ફરાર થઈ ગયા છે. જેને પગલે તેમના પરિવારજનો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પતિ પત્નીને સારવાર અર્થે લીમડી લઈ ગયા હતા. ઈજા વધુ ગંભીર હોવાથી વધુ સારવાર અર્થે દાહોદ ખાતે રિફર કર્યા હતા જ્યાં ડોક્ટરોએ લલિતાબેનને મૃત જાહેર કર્યા હતા અને શૈલેષભાઈને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાયા હતા. બનાવની જાણ પોલીસને થતાં પોલીસે તપાસ હાથ ધરી હતી.


જોકે બનાવની ગંભીરતાને લઈ એલસીબી, એસઑજી સહિતની પોલીસ ટીમો કામે લાગી હતી અને હોસ્પિટલમાં દર્દી પાસે પ્રાથમિક પૂછપરછમાં પોલીસને સમગ્ર મામલો શંકાસ્પદ લાગી રહ્યો હતો. જેને પગલે જિલ્લા પોલીસ વડા બલરામ મીણા એલસીબી, એસઓજી તેમજ ડોગ સ્કવોડ સહિતની પોલીસ ટીમો ઘટનાસ્થળે પહોચી હતી અને ઘટનાની ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી. જેમાં રોડની બાજુના ખાડામાં બાઈક પડેલું હતું તેમજ નજીકના ડુંગરમાં ઝાડીઓ વચ્ચે લલિતાબેનના ચાંદીના અને સોનાના દાગીના ડોગ સ્કવોડે શોધી કાઢ્યા હતા. એટ્લે સમગ્ર લૂંટનો ઘટનાક્રમ શંકા ઉપજાવે તેવો જણાઈ રહ્યો છે. 


હાલ પોલીસે સમગ્ર મામે ઝીણવટભરી તપાસ હાથ ધરી સારવાર લઈ રહેલ શૈલેષભાઈ ભાનમાં આવે ત્યાર પછી વધુ ચોકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓ સેવાઇ રહી છે.  જીલ્લામાં  છેલ્લા 4 દિવસમાં 5 હત્યાના બનાવ બન્યા છે.  જેમાં સુખસર, ડુંગરી,પીપલેટ અને આજે મોટી મહુડીમાં ઘટના ત્યારે ઝાલોદ ડીવીઝનમાં હત્યાના એક પછી એક બનાવને પગલે લોકોમાં ડરનો માહોલ સેવાઈ રહ્યો છે.