Megha Thorvi Murder Case:  શ્રદ્ધા વોકર પછી નિક્કી યાદવની હત્યા અને હવે આવી જ બીજી ઘટના મહારાષ્ટ્રના પાલઘરમાં સામે આવી છે. જ્યાં હાર્દિક શાહ નામના 27 વર્ષના યુવકે તેની લિવ-ઈન પાર્ટનર મેઘા થોરવીની હત્યા કરી નાખી. હાર્દિક શાહ અને મેઘા થોરવી બંને નાલાસોપારાના વિજયનગરમાં ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા. મળતી માહિતી મુજબ, હાર્દિક શાહ તુલિંજ પોલીસ સ્ટેશનમાં જાણ કરવા ગયો હતો કે તેણે તેના લિવ-ઇન પાર્ટનરની હત્યા કરી હતી અને તેના મૃતદેહને નાલાસોપારામાં તેમના ભાડાના રૂમમાં પથારીમાં છુપાવી દીધો હતો.


પોલીસના જણાવ્યા અનુસાર, હાર્દિકે પોલીસ સ્ટેશનની આસપાસ લગભગ બે કલાક પસાર કર્યા, પરંતુ કબૂલાત કરવાની હિંમત એકઠી કરી શક્યો નહીં અને આખરે શહેર છોડીને ભાગી ગયો. જે બાદ શાહની રાજસ્થાનથી ધરપકડ કરવામાં આવી હતી અને બુધવારે 15 ફેબ્રુઆરીએ મુંબઈ લાવવામાં આવ્યો હતો. મુંબઈ લાવવામાં આવ્યા બાદ તેને વસઈની સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. જ્યાં તેને 21 ફેબ્રુઆરી સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે.


'ગુના કરવા માગતો હોવાની કબૂલાત'


એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે શાહ તુલિંજ ગુનો કર્યા પછી લગભગ બે કલાક સુધી પોલીસ સ્ટેશન પરિસરમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજમાં જોવા મળ્યો હતો, પરંતુ તે પોલીસ સ્ટેશન આવ્યો ન હતો. બાદમાં રાજસ્થાન જતી ટ્રેનમાં ભાગી ગયો હતો. તેમણે કહ્યું કે જ્યારે અમે શાહને પોલીસ સ્ટેશનની બહાર તેમની હાજરી વિશે પૂછ્યું તો તેમણે કહ્યું કે તેઓ શું કરવું તે નક્કી કરવાની માનસિક સ્થિતિમાં નથી. પોલીસ અધિકારીએ કહ્યું કે શાહે તેમને કહ્યું કે તે ગુનાની કબૂલાત કરવા માંગે છે, પરંતુ તે જ સમયે તે તેની લિવ-ઈન પાર્ટનર મેઘા થોરવીના મૃતદેહનો નિકાલ કેવી રીતે કરવો તે અંગે પણ વિચારી રહ્યો હતો.


તુલિંજ પોલીસ સ્ટેશનના વરિષ્ઠ પોલીસ નિરીક્ષક શૈલેન્દ્ર નાગરકરે કહ્યું કે જો શાહ કબૂલાત કરવા માંગતા હોય તો તેમણે અંદર આવીને અમને ગુના વિશે જણાવવું જોઈતું હતું. તેણે કહ્યું કે શાહે પોલીસને કહ્યું હતું કે તે અંદર આવીને તેના ગુનાની જાણ કરવાની હિંમત કરી શક્યો નથી. હાર્દિક શાહ અને મેઘા (વ્યવસાયે નર્સ) લિવ-ઈન રિલેશનશિપમાં હતા અને છેલ્લા બે મહિનાથી નાલાસોપારાના સીતા સદનમાં એક રૂમ ભાડે રાખતા હતા.


શું છે મામલો?


11 ફેબ્રુઆરીના રોજ, મહારાષ્ટ્રના હાર્દિક શાહ નામના વ્યક્તિએ તેની 40 વર્ષીય લિવ-ઇન પાર્ટનર મેઘા થોરવીનું ટુવાલ વડે ગળું દબાવીને હત્યા કરી હતી અને પૈસાના વિવાદને કારણે તેના મૃતદેહને પથારીમાં છુપાવી દીધો હતો. ફરાર થતા પહેલા હાર્દિકે બેડ સિવાયનું તમામ ફર્નિચર વેચી દીધું હતું. અહેવાલો અનુસાર, મેઘાની હત્યા ત્યારે પ્રકાશમાં આવી જ્યારે બિલ્ડિંગના રહેવાસીઓએ એપાર્ટમેન્ટમાંથી દુર્ગંધ આવવાની જાણ કરી અને સ્થાનિક પોલીસ અધિકારીઓને બોલાવ્યા. પોલીસે આવીને રૂમનો દરવાજો ખોલ્યો ત્યારે મહિલાની લાશ મળી હતી.