દ્વારકાઃ ગત 5મી ફેબ્રુઆરીએ 30 વર્ષીય યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. કુરંગા ગામ પાસે વાડી વિસ્તારમાં લાકડી અને પથ્થરના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. જોકે, પોલીસે ગણતરીના દિવસોમાં જ કેસ ઉકેલી નાંખ્યો છે. આ હત્યા રામશી માલદેભાઈ વાઘેલાએ કરી હોવાનું સામે આવ્યું છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, પાંચમી ફેબ્રુઆરીએ લોહીલૂહાણ હાલતમાં 30 વર્ષીય વાલાભાઈ હાથીયાની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. મૃતકે આરોપી રામશીભાઇની પત્ની અંગે અણછાજતી માંગણી કરી હતી. આ વાતથી ઉશ્કેરાયને આરોપીએ મૃતકને લાકડી અને પથ્થરથી માર માર્યો હતો. જેને કારણે યુવકનું મોત થયું હતું. દ્વારકા પોલીસે આરોપીને ઝડપી પાડીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે આપેલી માહિતી પ્રમાણે, શંકાસ્પદ લોકોની તપાસ દરમિયાન રામશી માલદેભાઈ વાઘેલાની પૂછપરછ કરતા તેઓ ભાંગી પડ્યા હતા. તેમજ કબૂલાત કરી હતી કે, તેમણે લાકડી તેમજ પથ્થરના ઘા ઝીંકીને વાલાભાઇની હત્યા કરી હતી. કબૂલાતમાં જણાવ્યું હતું કે, આરોપી અને મરણ જનાર વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મૃતકે આરોપીની પત્નીને લઈ આવવાની વાત કરી હતી.

આ વાતથી ઉશ્કેરાયેલા આરોપીએ યુવકને માર મારીને હત્યા કરી નાંખી હતી. આરોપીએ ગુનામાં વપરાયેલ લાકડી પણ રજૂ કરી હતી.