ખેડા: કપડવંજ રત્નાકર રોડ ઉપર આવેલા વિશ્વાસ આર્કેડમાં કરુણાંતિકા સર્જાઈ છે. કોઈ અગમ્ય કારણસર પિતાપુત્રીએ આપઘાત કરી લીધો છે.  ભાવિક અરવિંદભાઈ પટેલ તથા તેમની નવ વર્ષની દીકરી જોલીએ આત્મહત્યાનું પગલું ભરતા સમગ્ર કપડવંજ પંથકમાં મારે ચકચાર મચી છે. ઘરમાંથી મળી આવેલી સુસાઇડ નોટમાં આપઘાત અંગેનું કોઈ ચોક્કસ કારણ દર્શાવેલ નથી. હવે અમે આ દુનિયામાં રહેવાના નથી તેવો માત્ર ઉલ્લેખ કર્યો છે. કપડવંજ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એ આર ચૌધરી તથા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આકસ્મિક મૃત્યુ અંગેની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી છે.


લખતરમાં પારિવારિક મનદુઃખમાં યુવકે આત્મહત્યા કરી લેતા ચકચાર


લખતર તાલુકાના સાકર ગામની સીમમાં આવેલ ખેતરમાં પરણિત યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર સાકર ગામે રિસામણે રહેલી પત્નીએ સાથે આવવાની ના પાડતા પતિએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હોવાની ચર્ચા છે. બનાવની જાણ થતાં જ પરિવારજનો સહિત પોલીસ સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. મૃતક પરણિત યુવક વિરમગામ તાલુકાના કુમારખાણ ગામના કીશનભાઈ કોળી હોવાનું બહાર આવ્યું છે. પારિવારિક મનદુઃખમાં યુવકે આત્મહત્યા કરતા પરિવારજનોમાં શોકની લાગણી ફેલાઈ છે.


સુરતમાં 7 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા


સુરતમાં ફરી શરમનાક ઘટના સામે આવી છે. 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા કરવામાં આવી છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આજે સવારે બાળકી ગુમ થઇ હતી. આ બાળકીનો પરિવાર કતારગામમાં રહે છે. જો કે બાદમાં માહિતી મળી કે બાળકી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને બાદમાં તેની હત્યા કરવામાં આવી હતી. આ અંગે પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી મચી ગઈ છે.


ધાનેરામાં શિકારીઓએ ફાયરિંગ કરતા યુવકનું મોત


ધાનેરા તાલુકાના વાછોલ ગામે શિકારના શોધમાં આવેલા અજાણ્યા શખ્સોએ ગોળી ચલાવતા યુવકનું મોત નીપજ્યું છે. સમગ્ર મામલે પાથાવાડા પોલીસે અજાણ્યા ઇસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. ગુજરાત રાજસ્થાનની બોર્ડર ઉપર આવેલ ધાનેરા તાલુકાના વાછોલ ગામે ગઈકાલે ફાયરીંગમાં પ્રવિણ માજીરાણા નામના યુવકનું ભૂંડ મારવા આવેલા અજાણ્યા શખ્સોએ ગોળી ચલાવતા યુવકને માથાના ભાગે ગોળી વાગતા ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે પાંથવાડા રેફરલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો. જોકે સારવાર માટે ખસેડતા સમયે યુવકે દમ તોડી દીધો હતો. પરિવારની માંગ હતી કે આરોપી જ્યાં સુધી પકડાય નહીં ત્યાં સુધી લાશને સ્વીકારવામાં નહીં આવે પરંતુ પાંથાવાડા પોલીસે ગ્રામજનોને ખાતરી આપતા પરિવારે લાશનો સ્વીકાર કર્યો હતો. પરિવારએ માંગ કરી કે તાત્કાલિક ધોરણે આરોપી વિરુદ્ધ સખત કાર્યવાહી થાય અને સરકાર યોગ્ય સહાય આપે.


લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં


જાણીતા લોકસાહિત્યકાર દેવાયત ખવડ ફરી વિવાદમાં આવ્યા છે. રાજકોટના સર્વેસ્વર ચોકમાં મયુર સિંહ રાણા પર દેવાયત ખવડે  હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ હુમલો પુષ્કર એપાર્ટમેન્ટ નજીક કરવામાં આવ્યો છે. દેવાયત ખવડ સહિત બે શખ્સોએ હુમલો કર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.  આ હુમલામાં પીડિત યુવકના પગ ભાંગી ગયા છે. પીડિત યુવકનું નામ મયુરસિંહ છે. હુમલા બાદ મયુરસિંહને તાત્કાલિક ધોરણે હોસ્પિટલમાં ખસેડાયા હતા.



આ અંગે સામે આવેલી વિગતો અનુસાર મયુરસિંહ રાણા અને દેવાયત ખવડ વચ્ચે ઘણા સમયથી માથાકૂટ ચાલતી હતી. રવિ રત્ન પાર્કમાં પાર્કિંગ બાબતે માથાકૂટ ચાલતી હોવાની વાત સામે આવી છે. હુમલાની સમગ્ર ઘટનાના સીસીટીવીમાં કેદ થઈ છે. દેવાયત ખવડ અને અન્ય એક વ્યક્તિ લાકડી વડે માર મારતા હોય તેવા સીસીટીવી સામે આવ્યા છે. હાલમાં સીસીટીવીના આધારે એ ડીવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.