હિંમતનગરઃ સાબરકાંઠા જિલ્લાના હાજીપુરની સમમાંથી મળેલી લાશોનો ભેદ પોલીસે ઉકેલી નાંખ્યો છે. તલોદના સાગપુરના યુવકની હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાનું ખૂલ્યું છે. પોલીસે પ્રેમીકાના મંગેતર અને અન્ય બે શખ્સોની ધરપકડ કરી છે. નોંધનીય છે કે, ગત 3 નવેમ્બરે સાંજે હાજીપુરની સીમમાં કેનાલમાંથી 25 વર્ષીય યુવકની લાશ મળી આવી હતી.


આ અંગેની વિગતો એવી છે કે, મૃતક જીતેન્દ્રસિંહ પરમારને ગામની જ યુવતી સાથે પ્રેમસંબંધ હતો. જોકે, યુવતીએ સગાઇ થઈ જતાં પ્રેમસંબંધ તોડી નાંખ્યા હતા અને આગળ પ્રેમસંબંધ વધારવા ઇનકાર કરી દીધો હતો. પરંતુ યુવક પ્રમેસંબંધ રાખવા માટે વારંવાર દબાણ કરી રહ્યો હતો.

જીતેન્દ્રસિંહના પ્રેમસંબંધ રાખવાના દબાણથી કંટાળી યુવતીએ તેના મંગેતરને વાત કરી હતી. તેમજ ભાવિ પતિ સાથે મળીને જીતેન્દ્રની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. પ્લાન પ્રમાણે ગત 2 નવેમ્બરે યુવતીએ મળવાના બહાને જીતેન્દ્રસિંહને અંબુજા ફેક્ટરી પાછળના જંગલમાં બોલાવ્યો હતો. બીજી તરફ કિશનસિંહે તેના કુટુંબી બનેવી કાળુસિંહ મોતીસિંહ મકવાણા (રહે.વજાપુર તા.પ્રાંતિજ) અને તેની ફોઈના દિકરા અજયસિંહ દિલુસિંહ મકવાણા (રહે.અમીનપુર તા.પ્રાંતિજ)ને આ અંગે વાત કરી રાખી હતી અને તેઓ અહીં પહેલાથી હાજર હતા.

જીતેન્દ્રસિંહ યુવતીને મળવા આવતાં જ યુવતીના મંગેતર સહિતના ત્રણેય શખ્સોએ રૂમાલથી ગળે ટૂંપો આપીને હત્યા કરી નાંખી હતી અને લાશને આબોદના હોટલથી આગળ કેનાલમાં નાંખી દીધી હતી. એ ડિવિઝન પોલીસ અને એલસીબીએ ત્રણેક દિવસમાં હત્યાનો ભેદ ખોલી અલગ અલગ ગામના ત્રણની અટકાયત કર્યા બાદ પોલીસ સમક્ષ ભાંગી પડ્યા હતા અને સગાઈ થઈ ગયેલી ગામની યુવતીને પ્રેમ સંબંધ રાખવા મૃતક હેરાન કરી રહ્યો હોવાથી કાસળ કાઢી નાંખ્યું હોવાની કબૂલાત કરી લીધી હતી. પોલીસે મંગેતર સહિત ત્રણેયની ધરપકડ કરી છે.