પ્રાંતિજઃ સાબરકાંઠા જિલ્લામાં મહિલાની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. પોલીસે પ્રાંતિજના રામપુરા ચાર રસ્તા નજીક મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલી નાંખ્યો છે. નોંધનીય છે કે, રામપુરા ગામના ખરાબામાં આવેલ મંદિર પાછળ જમીનમાં દાટેલી લાશ મળી આવી હતી.


આ અંગેની વિગતો એવી છે કે, ગત ઓક્ટોબર મહિના છેલ્લા અઠવાડિયામાં પ્રાંતિજના રામપુરા ગામના ખરબામાંથી દાટેલી મહિલાની લાશ મળી આવી હતી. આશરે 45 વર્ષીય મહિલાને રામપુરા ચાર રસ્તા નજીક ખરાબામાં બનાવેલ રામદેવપીરના મંદિર પાછળના ભાગે હત્યા કરીને દાટી દેવામાં આવી હતી. અજાણી મહિલાની હત્યા કરી લાશને મકાનના પાયામાં નાંખી ઉપર માટી નાંખી દાટી દેવાઈ હતી. રામદેવપીરના મંદિર પાછળથી દુર્ગંધ આવતા સ્થાનિકોએ પોલીસને જાણ કરી હતી. પ્રાંતિજ પોલીસને જાણ થતા ઘટના સ્થળે પહોંચી લાશ બહાર કાઢી હતી.

અજાણી મહિલાની લાશના જમણા હાથમાં ચૌહાણ એલ.જે. લખેલુ જણાયું હતું. પોલીસે ઘટના સ્થળે પહોંચી FSLઅને ડોગ સ્કોર્ડની મદદ લઇ તપાસ હાથ ધરી હતી. ત્યારે આ મહિલાની ગળે ટૂંપો આપી હત્યા કરી લાશને દાટી દેવામાં આવી હોવાનો ખુલાસો થયો છે. હત્યા કરનાર આરોપીએ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં બોલાચાલી થતા હત્યા કરી હતી. પોલીસે મહિલાની હત્યા કરનાર આરોપીને ઝડપી લીધો છે.