જામનગરઃ લાલપુરના ઝાખર ગામની સીમમાંથી યુવતીની હત્યા કરાયેલી લાશ મળી આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવતી નર્સ હોવાનું અને કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હોવાનું સામે આવ્યું છે. પોલીસને આ હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાની પ્રબળ શંકા છે. પોલીસ આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.


આ અંગે મળતી વિગતો પ્રમાણે, જામનગરની સ્વામિનારાયણ કોવિડ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી સીમા કાંતિભાઈ પાંડાવદરા(ઉં.વ.22)ની કલ્યાણપુર તાલુકાના સૂર્યાવદર ગામની વતની છે. તેમજ જામનગર-ખંભાળિયા હાઈવે પર આવેલી કોવિડ હોસ્પિટલમાં ફરજ બજાવતી હતી અને તેની જ હોસ્પિટલમાં રહેતી હતી. 


ગત 13મી મેના રોજ સહી કરીને યુવતી બહાર નીકળી હતી. આ પછી બીજા દિવસે 14મીએ તેની લાશ મળી આવી હતી. યુવતીએ પહેરેલા કપડા પરથી તેની સાથે રહેતી અને નર્સ તરીકે ફરજ બજાવતી અન્ય યુવતીએ લાશ ઓળખી કાઢી હતી. યુવતી તેની બહેનપણીના કપડા પહેરીને ગઈ હોવાથી તેની ઓળખ થઈ હતી. પોલીસે ઉંડાણપુર્વક તપાસ કરતાં હત્યા પ્રેમપ્રકરણમાં થઈ હોવાની પ્રબળ શક્યતા છે. પોલીસે પોલીસ અનેક શકમંદોની અટક કરતી કેસ ઉકેલવાની દિશામાં તપાસ હાથ ધરી છે.