Jamnagar Drishyam style murder case: જામનગરમાં જાણે કોઈ ફિલ્મી સ્ટોરી સાચી પડી હોય તેવી એક અત્યંત ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રખ્યાત ફિલ્મ 'દ્રશ્યમ'ની યાદ અપાવે તેવી આ મર્ડર મિસ્ટ્રીમાં એક પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની નિર્દયતાથી હત્યા કરી નાખી. કોઈને શંકા ન જાય અને પુરાવાનો નાશ થાય તે માટે તેઓએ લાશને કારખાનામાં જ 12 ફૂટ ઊંડા ખાડામાં દાટી દીધી હતી. છેલ્લા 2 વર્ષથી ગુમ થયેલા આ યુવકનો ભેદ આખરે ખૂલતાં પોલીસે SDM ની હાજરીમાં ખાડો ખોદાવીને મૃતદેહના અવશેષો બહાર કાઢ્યા છે. આ આખી ઘટનાએ સૌરાષ્ટ્રભરમાં ભારે ચકચાર જગાવી દીધી છે.

Continues below advertisement

વિગતવાર વાત કરીએ તો, જામનગરના સિટી 'બી' પોલીસ સ્ટેશનમાં છેલ્લા 2 વર્ષથી ગુમ થયેલા જિગ્નેશ માવદીયા નામના યુવકની એક અરજી પહોંચી હતી. આટલા સમયથી જિગ્નેશની પત્ની પૃથ્વી પરિવારજનોને એવું કહીને ગુમરાહ કરતી હતી કે તેનો પતિ નોકરી અર્થે ઓસ્ટ્રેલિયા ગયો છે. જ્યારે પરિવારજનો તેની પાસે ફોન પર વાત કરવાની જીદ કરતા, ત્યારે પત્ની એવું બહાનું કાઢતી કે તે ત્યાં જે કંપનીમાં કામ કરે છે, ત્યાંના નિયમો કડક છે અને ફોન પર વાત કરવાની બિલકુલ મંજૂરી નથી.

Continues below advertisement

જોકે, સતત 2 વર્ષ સુધી દિકરાનો કોઈ જ સંપર્ક ન થતાં પરિવારનો શક દ્રઢ બન્યો. આખરે કંટાળીને પરિવારે જ્યારે પોલીસ પાસે જવાની વાત કરી, ત્યારે પોલીસનું નામ સાંભળતા જ પત્ની ડરી ગઈ હતી. તેણે પરિવાર સામે પોતાનો ગુનો કબૂલી લીધો અને વટાણા વેરી દીધા કે તેઓએ 2 વર્ષ પહેલાં જ જિગ્નેશને પતાવી દીધો છે.

આ ખૌફનાક મર્ડર પ્લાન પાછળનું મુખ્ય કારણ જિગ્નેશનો ત્રાસ હોવાનું કહેવાય છે. પતિ જિગ્નેશ અવારનવાર પત્ની પૃથ્વીને ત્રાસ આપતો હતો. આ તકરાર અને કંકાસ વચ્ચે પૃથ્વીને નિલેશ નામના શખ્સ સાથે પરિચય થયો અને બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો. પત્નીએ પોતાના પર ગુજરતા ત્રાસની વાત પ્રેમી નિલેશને કરી. બસ, પછી પતિના ત્રાસથી કાયમી મુક્તિ મેળવવા બંનેએ મળીને જિગ્નેશને રસ્તા પરથી હટાવવાનો માસ્ટર પ્લાન ઘડી કાઢ્યો.

આ પણ વાંચોઃ ગુજરાતમાં જૈશના 13 આતંકીઓનો સનસનીખેજ ખુલાસો, કાચની બરણીમાં કેવી રીતે બનાવતા હતા ઝેરી ગેસ?

પ્લાન મુજબ, પ્રેમી નિલેશે જિગ્નેશને જામનગર નજીક દરેડ વિસ્તારમાં આવેલા શિવમ પાર્કમાં પોતાના કારખાનામાં પાર્ટી કરવાના બહાને બોલાવ્યો. ત્યાં દારૂમાં સાયનાઇડ (ઝેરી કેફી પીણું) ભેળવીને તેને પીવડાવી દીધું, જેનાથી તેનું મોત નીપજ્યું. હત્યા બાદ કોઈને ભનક ન લાગે તે ઈરાદાથી, આરોપી નિલેશ અને પૃથ્વીએ કારખાનાની અંદર જ 10 થી 12 ફૂટ ઊંડો ખાડો ખોદીને જિગ્નેશની લાશને દાટી દીધી હતી.

ફિલ્મી કહાનીની જેમ આખી ઘટના 2 વર્ષ સુધી રહસ્ય જ બની રહી, પરંતુ અંતે પાપ છાપરે ચડીને પોકાર્યું. હાલમાં પોલીસે આ જગ્યાએ ખોદકામ કરીને મૃતદેહના અવશેષો કબ્જે કર્યા છે અને બંને વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી