કાનપુરના ઋષભ હત્યા કેસમાં વધુ એક ચોંકાવનારી હકીકત સામે આવી છે. સપનાએ પતિની હત્યા કરવા માટે તેના પ્રેમી રાજ કપૂરને ત્રણ લાખની સોપારી આપી હતી. રાજ કપૂર ઉર્ફે રાજુની વોટ્સએપ ચેટમાંથી આ વાતનો ખુલાસો થયો છે. રાજુએ પૂછપરછ દરમિયાન ગુનો પણ કબૂલી લીધો છે. તેણે જણાવ્યું કે 27 નવેમ્બરે તેણે નેરવાલના રહેવાસી તેના કર્મચારી સત્યેન્દ્ર વિશ્વકર્મા ઉર્ફે સીતુ સાથે મળી ઋષભ પર હુમલો કર્યો હતો, પરંતુ તે બચી ગયો હતો. આ પછી સારવાર દરમિયાન ઈન્જેક્શન અને દવાઓના ઓવરડોઝથી ઋષભનું મોત થયું હતું. કલ્યાણપુર ખુર્દના મેડિકલ સ્ટોર ડાયરેક્ટર સુરેન્દ્ર સિંહ યાદવે પણ આમાં મદદ કરી હતી. પોલીસે ચારેય આરોપીઓને શુક્રવારે કોર્ટમાં રજૂ કર્યા બાદ જેલ હવાલે કર્યા હતા. DCP પશ્ચિમ વિજય ધુલે શુક્રવારે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે ઋષભ તિવારી તેની પત્ની સપના પાંડે સાથે શિવલી રોડ પર રહેતો હતો. ચોંકાવનારો ખુલાસો એ પણ થયો હતો કે પોલીસ વિભાગમાં સ્ટેનો રહેલા સસરાને દવાઓનો ઓવરડોઝ આપીને સપનાએ થોડા દિવસ અગાઉ હત્યા કરી હતી પરંતુ કોઇને ખ્યાલ આવ્યો નહોતો.


27 નવેમ્બરના રોજ તે તેના મિત્ર સાથે ચકરપુર ગામમાં લગ્નમાં ગયો હતો. પરત ફરતી વખતે તેની સ્કૂટીમાં પંચર પડી ગયું અને તે પંચર કરાવવા હાઇવે તરફ જવા લાગ્યો. ત્યારે શિવ હોટલની સામે બાઇક પર આવેલા બે યુવકોએ તેના હુમલો કર્યો હતો.આ કેસમાં ઋષભની પત્નીએ તેના પાડોશી રામકૃષ્ણ વિશ્વકર્મા વિરુદ્ધ FIR નોંધાવી હતી. દરમિયાન 3 ડિસેમ્બરે ઋષભનું અવસાન થયું હતું. આ કેસની તપાસમાં સામેલ પોલીસે જ્યારે સપનાની કોલ ડિટેઈલ જોઇ તો અનેક નંબર મળી આવ્યા હતા. જેની સાથે સપના અવારનવાર વાત કરતી હતી.


એવું જાણવા મળ્યું હતું કે સપના નરવાલના રાયપુરવા ખાતે રહેતા રાજ કપૂર ઉર્ફે રાજુ સાથે 2016 થી પ્રેમ સંબંધ હતા. સપનાએ ફેબ્રુઆરી 2020માં ઋષભ સાથે લગ્ન કર્યા હતા. આવી સ્થિતિમાં બંનેએ મિલકત હડપ કરવા અને સાથે રહેવા ઋષભની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું. હત્યા માટે તેણે તેના પ્રેમીને ત્રણ લાખની સોપારી આપી હતી. હુમલા બાદ ઘટનાસ્થળે પહોંચેલી સપનાએ પહેલા ઋષભને હૉલ્ટ અને પછી મધુરજમાં દાખલ કર્યો અને 30 નવેમ્બરે રજા મળ્યા બાદ તેને ઘરે પરત લાવ્યો. અહીં સપનાએ આશા મેડિકલ સ્ટોરના ડાયરેક્ટર સુરેન્દ્ર યાદવ પાસેથી ઈન્જેક્શન લીધું અને ઋષભને ઈન્જેક્શન અપાવ્યું અને દવાઓનો ઓવરડોઝ આપ્યો હતો.


આનાથી ઋષભના ફેફસા અને લીવરને નુકસાન થયું અને 3 ડિસેમ્બરે તેનું મૃત્યુ થયું. સપનાએ ઋષભને કયું ઈન્જેક્શન આપ્યું હતું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે ઋષભના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેમાં મૃત્યુનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નથી. તેથી જ ડોકટરોએ વિસેરાને સાચવી રાખ્યો હતો. કારણ કે તેના પર અગાઉ પણ હુમલો થયો હતો. આથી પોલીસે ગંભીરતાથી તપાસ હાથ ધરી હતી.