સાબરકાંઠાઃ ખેડબ્રહ્મામાં અઠવાડિયા પહેલા દોઢ વર્ષના પૌત્રની હત્યાનો ગુનો દાદી સામે નોંધાતા ખળભળાટ મચી ગયો છે. દાદીએ માથામાં ઇજા કરી અથવા પૌત્રને જમીન પર પછાડી મોત નિપજાવી હોવાનું સામે આવતાં ચકચાર મચી જવા પામી છે. બાળકના પીએમ પછી અંતિમ સંસ્કાર થઇ ગયા બાદ દાદી તેમના પિયર જતા રહ્યા હતા અને પાડોશીઓ તથા પૌત્રે ભાંડો ફોડતાં આખી ઘટના બહાર આવી હતી.


આ અંગેની વિગતો એવી છે કે, મુકેશભાઈ ઠાકોર વાઘેશ્વરીના વીનાબેન કોદરવી સાથે લગ્ન થયા છે અને તેનાથી તેમને બે સંતાનો છે. જોકે, પત્ની વીનાબેન ત્રણ મહિના પહેલા 4 વર્ષના ઋત્વિક અને દોઢ વર્ષના શૈલેષને મૂકીને પિયર જતાં રહ્યા હતા. મુકેશભાઈને અવાર-નવાર કામથી રાજસ્થાન જવાનું થતું હોવાથી તેઓ બંને સંતાનોને માતા ચંદ્રિકાબેન પાસે મૂકી ગયા હતા. નોંધનીય છે કે, ચંદ્રિકાબેનના પતિ એટલે કે મુકેશના પિતા દસ વર્ષ પહેલા ક્યાંક જતા રહ્યા હોવાથી ચંદ્રિકાબેને બીજા લગ્ન કરેલા છે. 



દરમિયાન ગત 24મી જાન્યુઆરીએ મુકેશભાઈને બહેને ફોન કરીને તેમના દોઢ વર્ષના દીકરા શૈલેષનું બીમારીમાં મોત થયું હોવાનું જણાવ્યું હતું. જેથી તેઓ ખેડબ્રહ્મા પહોંચ્યા હતા અને દીકરા ઋત્વિકના મોઢા અને શરીર પર ઇજાઓ જોઇ હતી. બંને છોકરા સાંજે રમતા હતા. આ પછી રાત્રે આઠેક વાગ્યે શૈલેષને મોઢામાંથી લાળ ચપકલવા લાગી હતી. અને મોત નીપજ્યું હોવાનું ચંદ્રિકાબેન જણાવ્યું હતું. પીએમ પછી દીકરાની અંતિમવિધિ કરી દેવાઈ હતી. 



બીજી તરફ ચંદ્રિકાબેન પિયર જતાં રહ્યા હતા. આ તરફ મુકેશભાઈને પાડોશીઓ પાસેથી જાણવા મળ્યું હતું કે, ચંદ્રિકાબેન અવાર-નવાર બાળકોને મારતાં હતા. તેમજ બનાવની રાતે પણ બાળકોનો રડવાનો અવાજ આવતો હતો. આ અંગે મુકેશભાઈએ મોટા દીકરાને પૂછતાં દાદીએ તેને માર્યું હોવાનું અને શૈલેષને મારી નાંખ્યો હોવાનું જણાવ્યું હતું. તેમજ પીએમમાં પણ માથમાંથી ઇજાથી મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. 


આથી મુકેશભાઈએ માતા ચંદ્રિકાબેને દીકરાને માથામાં ઇજા પહોંચાડી હત્યા કર્યાની ફરિયાદ કરતાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મહિલાની અટક કરી પૂછપરછ કરતાં તે ભાંગી પડી હતી અને ગુનાની કબૂલાત કરતાં જેલમાં મોકલી અપાઇ છે.