સુરત : સુરતના વરાછા વિસ્તારમાં એક હત્યાની ઘટના સામે આવી છે. પ્રેમિકાને મળવા જતા પ્રેમીને મોત મળ્યું છે.  વરાછા વિસ્તારમાં આવેલ માધવ પાર્ક સોસાયટીમાં આ ઘટના બની હતી. પ્રેમિકા તેમની બહેનપણીના ઘરે ગઈ હતી ત્યારે પ્રેમીને મળવા બોલાવ્યો હતો.  પ્રેમી-પ્રેમિકા પાસે ગયો ત્યારે પ્રેમિકાના ભાઈઓ પણ પહોંચી ગયા હતા. પ્રેમિકાના ભાઈ,મામાનો છોકરો અને મામાએ ગંભીર રીતે પ્રેમીને માર માર્યો હતો.  પ્રેમીને ઢોરમાર મારતા બેભાન થઈ ગયો હતો. પ્રેમીને હોસ્પિટલમાં ખસેડાતા તબીબે મૃત જાહેર કર્યો હતો.  વરાછા પોલીસે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. 


નજીકમાં  રહેતી યુવતી સાથે પ્રેમ સંબંધ હતો


સમગ્ર અહેવાલ અનુસાર, સુરત શહેરના વરાછા વિસ્તારમાં રહેતા મેહુલ સોલંકીને તેમની નજીકમાં  રહેતી એક યુવતી સાથે પ્રેમ સંબંધ થયો હતો. આ  મામલે યુવતીના પરીવારને  જાણ થઈ જતા તેમણે મકાન બદલાવી અલગ જગ્યાએ રહેવા જતા રહ્યા હતા. પરંતુ તેમ છત્તા યુવક યુવતી વચ્ચે પ્રેમ સંબંધ હતો અને તેઓ એકબીજા સાથે  સંપર્કમાં જોડાયેલા હતા. જેમાં ગીતા નગરની બાજુમાં આવેલી માધવપર્ક સોસાયટીમાં પ્રેમિકાની બહેનપણી રહેતી હતી. જેથી પ્રેમિકા તેની બહેનપણીને ત્યાં આવી અને તેમના પ્રેમી મેહુલ સોલંકીને મળવા માટે બોલાવ્યો હતો.


ભાઈને શંકા જતા તેમણે બહેનપણીના ઘરે પહોંચી ગયા


પ્રેમિકાના ભાઈને શંકા જતા તેમણે બહેનપણીના ઘરે પહોંચી ગયા હતા. જ્યાં આ બંને પ્રેમીઓ મળી રહ્યા હતા.  ભાઈએ મામા સાથે મળી પ્રેમી મેહુલ સોલંકીને બેલ્ટ અને ફટકા વડે ઢોરમાર માર્યો હતો. આ  દરમ્યાન મેહુલના મિત્ર પાર્થ વાઘેલાને પ્રેમિકાની બહેનપણીએ કોલ કરી તેમના મિત્રને માર મારે છે તેવું જણાવતા તેમનો મિત્ર પાર્થ ઘટના સ્થળે ગયો હતો.જ્યાં ત્રણ લોકો મિત્ર મેહુલને ઢોરમાર મારતા હતા. પાર્થ માર મારવાનીના કહેતા પાર્થને પણ મારવાની ધમકી આપવામાં આવી જેથી પાર્થ નીચે આવી ગયો હતો.ત્યારબાદ તેમનો મિત્ર બેભાન થઈ ગયો હતો. જેથી તાત્કાલિક તેને હોસ્પિટલમાં ખસેડાયો હતો.પરંતુ વધુ પડતો માર મારવાના કારણે મૂઢ ઇજા થવાથી મેહુલનું મોત થયું હતું.


મેહુલ સુરતમા રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. છેલ્લા ચાર વર્ષથી તે અને પ્રેમિકા બંને  પ્રેમ કરતા હતા. આ પ્રેમ સંબંધનો કરુંણ અંજામ આવતા મેહુલના પરિવારજનો શોકમાં છે.  મહત્વનું છે કે મેહુલને માર મારવા આવેલા પ્રેમિકાના ભાઈ, મામાનો દીકરો અને મામા પહેલેથી જ તૈયારીઓ કરીને  આવ્યા હતા. મેહુલ દેખાયો કે ત્રણેય જણા મેહુલ પર તૂટી પડ્યા હતા. મેહુલને શરીર અનેક ભાગોમાં ઈજા પહોંચી હતી. આ કારણે યુવકનું મોત નિપજ્યુ હતું. મેહુલ મૂળ ભાવનગરનો વતની છે અને તેના પિતા ત્યાં ખેતીકામ કરે છે.   મેહુલ રૂપિયા કમાવવા માટે સુરત આવી રત્નકલાકાર તરીકે કામ કરતો હતો. આ પ્રેમ પ્રકરણમાં પ્રેમિકાને મળવા જતા મેહુલનું પ્રેમિકાના ભાઈઓએ મર્ડર કરી નાખ્યું હતું.  મેહુલની લાશને પીએમ અર્થે ખસેડી પોલીસે હત્યારા ત્રણેયને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.