મોરબીઃ હળવદના ચરાડવા ગામે સળગાવી હાલતમાં કેનાલમાંથી મૃતદેહ મળતાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હળવદ પોલીસે મૃતદેહ મળવા અંગે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અજાણ્યા ઇસમે મૃતક કેશવજીભાઇ પસાયા (ઉ.૩૬) પેટ્રોલપંપ પાછળ વાળાને તિક્ષ્ણ હથિયાર વડે મારી મારી હત્યા કરી સળગાવી નાખ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. હળવદ પીએસઆઈ રાજેન્દ્રદાન ટાપરિયાએ ફરિયાદી બની ગુન્હો નોંધાવ્યો હતો. 


આજે શનિવારે હળવદના ચરાડવા નજીક પાસે સમલી ગામ પાસેથી પસાર થતી કેનાલમાં યુવાનની ઘાતકી રીતે હત્યા કરી લાશને સળગાવી કેનાલમાં ફેંકી દેવાતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં એલસીબી સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. જોકે, યુવકની હત્યા કોણે અને કેમ કરી તે હજુ જાણી શકાયું નથી. પોલીસ તપાસ પછી વધુ વિગતો સામે આવશે. 


અમદાવાદઃ શહેરના ઇસનપુરમાં પતિએ પત્નીનું ગળું દબાવી હત્યા કરી નાંખતા સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે. પતિ-પત્ની વચ્ચે થોડા સમયથી ઝઘડા ચાલતા હતા. ચંડોળા તળાવ પાસેનો બનાવ છે. હત્યા કરી પતિ ફરાર થયો છે. ઇસનપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ શરૂ કરી છે. 


આ અંગે મળતી વિગતો પ્રમાણે, ઇસનપુર પોલીસને ગઈ કાલે 25મી ડિસેમ્બરે મેસેજ મળ્યો હતો કે, ચંડોળા તળાવ પાસે શાહઆલમમાં બંગાળી વાસમાં હત્યાનો બનાવ બન્યો છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે, પતિએ તેની જ પત્નીની ગળું દબાવી હત્યા કરી નાંખી છે અને હત્યા કરી પતિ ફરાર થઇ ગયો હતો. 


મૃતક હલીમાં બીબી ઉર્ફે મેરીના બીબી સાથે કમરુલ રજાક શેખના બે વર્ષ પહેલાં લગ્ન થયા હતા. પતિ બંગાળમાં રહેતો હતો. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, બંનેના આ ત્રીજા લગ્ન હતા. હત્યારા પતિને બે પત્નીઓ છે અને તે બંગાળમાં રહે છે. હલીમાં બીબી સાથે લગ્ન પછી તે વચ્ચે વચ્ચે અહીં આવતો હતો. હત્યાના થોડા દિવસ પહેલા કમરુલ શાહઆલમ આવ્યો હતો. 


આ સમયે બંને વચ્ચે તકરાર થતાં કમરુલે પત્નીનું ગળું દબાવી હત્યા કરી હતી. તેમજ હત્યા પછી પતિ ત્યાંથી ફરાર થઈ ગયો હતો. આ અંગે પાડોશીઓ અને તેના પુત્રને જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે હત્યાનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.