Crime News: મહારાષ્ટ્રમાંથી એક સનસનીખેજ હત્યાનો કિસ્સો સામે આવ્યો છે. 39 વર્ષીય મહિલાની હત્યા કરવામાં આવી હતી. પ્રેમીએ આ હત્યા કરી હોવાનો આરોપ લગાવાયો છે. હાલ પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે. જે યુવક પર હત્યાનો આરોપ છે તે મૃતક યુવતીના ઘરમાં ભાડે રહેતો હતો. લોકડાઉન દરમિયાન આરોપી તેના ગામ ગયો હતો. પરંતુ પુણે પરત ફરતાં મહિલાએ તેની સાથેના તમામ સંબંધો તોડી નાખ્યા હતા. આથી તે ખૂબ જ નારાજ થયો  અને ગુસ્સામાં આવી યુવતીનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. આ અંગે વિમંત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.


શું છે મામલો


પોલીસ પાસેથી મળેલી માહિતી અનુસાર, આરોપીની ઓળખ ગુલામ શેખ તરીકે થઈ છે. 30 વર્ષીય શેખ બિહારનો રહેવાસી છે. જ્યારે મૃતકની ઓળખ સુનીતા સૂર્યવંશી તરીકે થઈ છે. આ અંગે મૃતકના પતિ રઘુનાથ સૂર્યવંશીએ ફરિયાદ નોંધાવી છે. અંગ્રેજી અખબાર પુણે મિરર અનુસાર હત્યાના દિવસે શેખ પીડિતાના ઘરે આવ્યો હતો, જ્યાં બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ પછી આરોપીએ મહિલાનું ગળું દબાવી હત્યા કરીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો.


મૃતકના પરિવારને લગ્નેત્તર સંબંધની જાણ હતી ?


એવું કહેવામાં આવી રહ્યું છે કે મૃતકના પરિવારને તેના એક્સ્ટ્રા મેરીટલ અફેરની જાણ હતી. આથી પરિવારના સભ્યોએ પણ મહિલાને ઠપકો આપ્યો હતો, ત્યારબાદ તેણે સંબંધ તોડવાનો નિર્ણય લીધો હતો અને શેઠ સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. પરંતુ આ પછી શેઠને ખૂબ ગુસ્સો આવ્યો. તેણે મહિલા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેણી તેની અવગણના કરવા લાગી.


ઘરમાં એકલી હતી મહિલાને ઘૂસી ગયો યુવક


એક દિવસ પીડિતા ઘરમાં એકલી હોવાથી આરોપી અંદર ઘુસી ગયો અને તેની સાથે મારપીટ કરી. તેની ચુંગાલમાંથી છૂટીને તે બાથરૂમમાં દોડી ગઈ અને પોતાની જાતને બંધ કરી દીધી. આરોપીએ દરવાજો તોડીને તેણીની હત્યા કરી હતી. આ જઘન્ય ગુનો કર્યા બાદ તે દરવાજો બંધ કરીને ભાગી ગયો હતો. જ્યારે મહિલાના પતિ અને પુત્રો ઘરે પરત ફર્યા તો તેઓએ દરવાજો બંધ જોયો. તેઓએ વિચાર્યું કે તેણી બહાર ગઈ હતી અને તેને ફોન કર્યો હતો, પરંતુ તેણે ફોન ઉપાડ્યો ન હતો. 11.30 વાગ્યા સુધી તે પરત ન આવતાં તેઓએ દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. મૃતદેહ જોઈને તે સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.