લખનઉઃ ઉત્તરપ્રદેશના ઉન્નાવમાં સગીર પ્રેમી પંખીડાના શંકસ્પદ હાલતમાં મોત થયા હતા. પોલીસના કહેવા મુજબ પહેલા પ્રેમીએ આત્મહત્યા કરી, જેના મોતની જાણકારી મળ્યા બાદ પ્રેમિકાએ વિરહમાં ફાંસી લગાવી લીધી. જ્યારે પરિવારજનોના કહેવા મુડબ છોકરીના પરિવારજનોએ છોકરાને દગાથી ઘરમાં બોલાવી ફાંસી આપીને હત્યા કરી દીધી હતી. પોલ ખુલવાના ભયથી તેમણે પુત્રીની પણ હત્યા કરી દીધી હતી.


પોલીસના કહેવા મુજબ, બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો. રાત્રે છોકરીએ તેના પ્રેમીને શરીર સુખ માણવા બોલાવ્યો હતો. પ્રેમિકાના ઘરે પહોંચ્યા બાદ સાડી વડે ગળા ફાંસો ખાઈ લટકી ગયો હતો. આ અંગે તેના પરિવારજનોને જાણ કરાઈ હતી. સૂચના મળતા તેના પરિવારજનો પહોંચ્યા અને તેને ઉતારી ડોક્ટર પાસે લઇ ગયા. જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. જે બાદ વિરહમાં સગીરાએ તે જ સાડી વડે ફાંસી લગાવી લીધી હતી.

છોકરાના પરિવારજનોના જણાવ્યા મુજબ, તેમના પુત્રને ખોટી રીતે બોલાવીને હત્યા કરી દીધી હતી. તેનો મોબાઇલ પણ છોકરીના પરિવારજનોના કબ્જામાં છે. હત્યાનો મામલો ખુલવાના ભયે છોકરીના પરિવારજનોએ તેની પણ હત્યા કરી દીધી હતી.

ઘટના સમયે સગીરાના મામા પણ હાજર હતા, જે તે પછી ફરાર થઈ ગયો હતો. પરિવારજનો દ્વારા નિષ્પક્ષ તપાસની માંગ કરવામાં આવી છે.