ગાંધીનગરઃ વર્ષ 2021, કોરોના સાથે વીત્યું. આ સાથે સાથે આ વર્ષમાં એવી કેટલીક ઘટનાઓ બની, જેણે લોકોને હચમચાવી દીધા. આવી જ એક ચકચારી ઘટના અહીં રજૂ કરી રહ્યા છે. વાત છે ગાંધીનગરના પેથાપુર પાસેથી બાળક મળવાનો. સ્વામિનારાયણ ગૌશાળામાં 8 ઓક્ટોબરે રાત્રે તરછોડાયેલું બાળક મળી આવ્યું હતું. બાળક મળતાં જ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને ગણતરીની કલાકોમાં જ આ સમગ્ર ઘટના પરથી પરદો ઉંચકાઈ ગયો હતો. તરછોડાયેલા બાળકના પિતા સચિન દિક્ષિતને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. જેની પૂછપરછમાં ચોંકાવનાર ધડાકા થયા હતા. 
 
સચિને તેની પ્રેમિકા અને બાળકની માતા મહેંદી પેથાણીની હત્યા કરી બાળકને ગાંધીનગર પાસે મુકી ભાગી ગયા હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો હતો. વડોદરામાં મહેંદીનું ગળું દબાવીને હત્યા કર્યા બાદ પુત્ર સ્મિતને મોતને ઘાટ ઉતારીને સચીને આત્મહત્યા કરવાની યોજના બનાવી હતી. આ વાતનો સચીનની રિમાન્ડ દરમિયાન પુછપરછમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો. 


નર્મદા કેનાલમાં બાળકને ફેંકવા સુધીની તૈયારી પણ કરી હતી. જોકે, તેનો અંદરનો પિતા જાગી જતાં તેણે પુત્રની હત્યા કરવાનું ટાળ્યું હતું. આ પછી તેણે પેથાપુરમાં બાળકને તરછોડી દીધો હતો. સચિન પુત્રની હત્યા કરીને પોતે પણ આત્મહત્યા કરવાનો હતો, તેવું પણ પોલીસ પૂછપરછમાં સામે આવ્યું હતું. 


આવેશમાં મહેંદીની હત્યા કર્યા બાદ તે બાળકને લઇને ગાંધીનગર આવવા માટે રવાના થઇ ગયો હતો. આ સમયે પુત્રને નર્મદા કેનાલમાં ફેંકીને પોતે પણ આત્મહત્યા કરી લેશે તેમ નક્કી કરી લીધું હતું. એટલું જ નહીં, ભાટ ટોલનાકુ ક્રોસ કર્યા બાદ કોબા પહેલા નર્મદા કેનાલ પાસે કાર ઉભી પણ રાખી હતી. પરંતુ માસૂમ દીકરાને મારી શકે તેમ ન હોવાથી તેણે વિચાર માંડી વાળ્યો હતો અને તેને સ્વામીનારાયણ મંદિરની ગૌશાળામાં તરછોડી દીધું હતું. 


વડોદરામાં મહેંદી સાથે લીવ ઇનમાં રહેતો સચિન દિક્ષીત મહેંદીને સામાજીક દરજ્જો આપી શકવા સક્ષમ નહોતો. જો કે, તે મહેંદી અને સ્મિતને મહત્તમ સમય આપવાનો પ્રયાસ કરતો હતો. જો કે તેમના સબંધને નામ ન મળતા મહેંદી સતત માનસિક ચિંતામાં રહેતી હતી. જેના કારણે તેમના વચ્ચે તકરાર થતી હતી.