Punjab Cabinet: પંજાબ સરકારની પ્રથમ કેબિનેટ બેઠકમાં મુખ્યમંત્રી ભગવંત માને મોટો નિર્ણય લીધો છે. કેબિનેટની બેઠકમાં 25 હજાર સરકારી નોકરીઓ પર મહોર લગાવવામાં આવી છે. ભગવંત માનની આગેવાની હેઠળની સરકારે યુવાનોમાં બેરોજગારીનો પ્રશ્ન હલ કરવાનું વચન આપ્યું હતું. તેમાંથી પોલીસ વિભાગમાં 10 હજાર નોકરીઓ બહાર પાડવામાં આવશે, જ્યારે બાકીની 15 હજાર નોકરીઓ વિવિધ વિભાગોમાં આવશે.


કેબિનેટના નિર્ણય અનુસાર, આ નોકરીઓ એક મહિનામાં બહાર પાડવામાં આવશે. પંજાબમાં AAPના અન્ય ચૂંટણી વચનોમાં, પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રાજ્યમાં સરકારી શાળાઓ અને હોસ્પિટલોની સ્થિતિ સુધારવા, રોજગારીની તકો ઊભી કરવા અને 300 યુનિટ સુધી મફત વીજળી આપવાનું વચન આપ્યું હતું.  AAP એ 18 વર્ષથી ઉપરની મહિલાઓને દર મહિને 1,000 રૂપિયા આપવાનું વચન પણ આપ્યું હતું. તેમણે રાજ્યમાં ભ્રષ્ટાચારમુક્ત સરકાર અને ડ્રગ્સના દૂષણ પર નિયંત્રણનું વચન પણ આપ્યું હતું.


અગાઉ ગુરુવારે, પંજાબના મુખ્ય પ્રધાને જાહેરાત કરી હતી કે 23 માર્ચે, શહીદ દિવસ  પર રાજ્યમાં ભ્રષ્ટાચાર વિરોધી હેલ્પલાઇન શરૂ કરવામાં આવશે. માને કહ્યું હતું કે લોકો વોટ્સએપ દ્વારા ભ્રષ્ટાચાર સામે ફરિયાદ નોંધાવી શકશે. આ પહેલા 16 માર્ચે મુખ્યમંત્રી ભગવંત માને મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. તાજેતરમાં પૂર્ણ થયેલી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં AAPએ પ્રચંડ જીત મેળવી હતી અને 92 બેઠકો જીતી હતી. પંજાબની આ જોરદાર જીત દ્વારા, AAPએ તેના મોટાભાગના હરીફોને રાજકીય રેસમાંથી બહાર કરી દીધા હતા.


ભગવંત માનના મંત્રીમંડળમાં હરપાલ ચીમા (દિરબ), ડો.બલજીત કૌર (મલૌત), હરભજન સિંહ ઈટીઓ (જંડિયાલા), ડો. વિજય સિંગલા (મનસા), લાલ ચંદ કટારુચક (ભોઆ), ગુરમીત સિંહ મીત હેયર (બરનાલા), કુલદીપ સિંગ ધાલીવાલ (અજનાલા), લાલજીત સિંહ ભુલ્લર (પટ્ટી), બ્રહ્મ શંકર (હોશિયારપુર) અને હરજોત સિંહ બૈંસ (આનંદરપુર સાહિબ) સામેલ છે.


Education Loan Information:

Calculate Education Loan EMI