GSEB supplementary exam timetable 2026: જો તમે કે તમારા કોઈ પરિચિત વિદ્યાર્થી બોર્ડની મુખ્ય પરીક્ષામાં એક કે બે વિષયમાં પાસ નથી થઈ શક્યા, તો ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા શૈક્ષણિક વર્ષ 2026 માટે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનું ટાઈમટેબલ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પૂરક પરીક્ષા આગામી 11 જૂન 2026 થી 20 જૂન 2026 દરમિયાન યોજાવા જઈ રહી છે. જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે અથવા પરીક્ષા આપવાની પાત્રતા ધરાવે છે, તેઓ આ પરીક્ષા આપીને પોતાનું વર્ષ બચાવી શકશે. આ પરીક્ષામાં ધોરણ 10 ઉપરાંત ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ અને સંસ્કૃત પ્રથમા તેમજ સંસ્કૃત મધ્યમાના વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. આખો વિગતવાર કાર્યક્રમ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર પણ મૂકી દેવામાં આવ્યો છે.
ચાલો તમને સંસ્કૃત પ્રથમા (ધોરણ 10) અને સંસ્કૃત મધ્યમા (ધોરણ 12) ની પૂરક પરીક્ષાના ટાઈમટેબલ વિશે વિગતે જણાવીએ. ધોરણ 10 સંસ્કૃત પ્રથમાની પરીક્ષાઓ સવારે 10:00 વાગ્યાથી બપોરે 1:15 વાગ્યા સુધી લેવામાં આવશે. ટાઈમટેબલ મુજબ, 11 જૂન 2026 (ગુરુવાર) ના રોજ ગણિતનું પેપર રહેશે. ત્યારપછી 12 જૂને સામાજિક વિજ્ઞાન, 13 જૂને અંગ્રેજી (દ્વિતીય ભાષા) અને 15 જૂને વિજ્ઞાનનું પેપર લેવાશે. ત્યારબાદ 16 જૂને સાહિત્ય, 17 જૂને વ્યાકરણ અને છેલ્લે 18 જૂને પૌરોહિત્યમ (થીયરી), કોમ્પ્યુટર થીયરી અથવા સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણનું પેપર રહેશે. વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું કે 18 જૂનનું આ પેપર સવારે 10:00 થી 12:15 સુધી જ ચાલશે.
હવે વાત કરીએ ધોરણ 12 સંસ્કૃત મધ્યમાની, તો આ પરીક્ષાઓનો સમય બપોરના 3:00 વાગ્યાથી સાંજના 6:15 સુધીનો રાખવામાં આવ્યો છે. 11 જૂને પ્રશ્નપત્ર-1 અનિવાર્ય વ્યાકરણ અને 12 જૂને પ્રશ્નપત્ર-2 અનિવાર્ય કાવ્યનું પેપર લેવાશે. 13 જૂને સમાજશાસ્ત્ર અને 15 જૂને અંગ્રેજી (નિમ્નસ્તર) ની પરીક્ષા રહેશે. 16 અને 17 જૂને અનુક્રમે મુખ્યવિષય-1 અને 2 ના પેપર લેવાશે (જેમાં સાહિત્ય, વ્યાકરણ, વેદ, આયુર્વેદ, દર્શનશાસ્ત્ર કે જ્યોતિષશાસ્ત્રનો સમાવેશ થાય છે). છેલ્લે 18 જૂને પૌરોહિત્યમ થીયરી અને પ્રાયોગિક અથવા કમ્પ્યુટરની પરીક્ષા લેવાશે. 18 તારીખના આ પેપરનો સમય બપોરે 3:00 થી 5:15 સુધીનો રહેશે.
આ પરીક્ષા આપવા જઈ રહેલા વિદ્યાર્થીઓએ કેટલીક ખાસ સૂચનાઓ ધ્યાનમાં લેવી ખૂબ જરૂરી છે. સંસ્કૃત મધ્યમાની પરીક્ષામાં પ્રશ્નપત્ર 1 થી 7 ના જવાબો તમારે માત્ર સંસ્કૃત ભાષામાં જ લખવાના રહેશે, જ્યારે કમ્પ્યુટર થીયરીના જવાબો ગુજરાતીમાં લખી શકાશે. એક વાત ખાસ નોંધવી કે આ પૂરક પરીક્ષામાં OMR (ઓ.એમ.આર.) પદ્ધતિનો ઉપયોગ થવાનો નથી, એટલે કે વિદ્યાર્થીઓએ માત્ર ટીક માર્ક કરવાના બદલે વર્ણનાત્મક જવાબો પોતાની ઉત્તરવહીમાં જ લખવાના રહેશે. બોર્ડ દ્વારા તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાના આચાર્યોને આ કાર્યક્રમની નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે.
સ્થાનિક ચૂંટણીની અસર: ગુજરાત યુનિવર્સિટીએ પરીક્ષાની તારીખો બદલી, જાણો પરીક્ષાઓનું નવું ટાઈમટેબલ
Education Loan Information:
Calculate Education Loan EMI