ગાંધીનગરઃ અમિત શાહ બનશે અડવાણીના અનુગામી? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Mar 2019 09:22 AM (IST)
ગાંધીનગરઃ લોકસભાની ચૂંટણી જાહેર થતાં જ ભાજપ-કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી કરવાની શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા પણ છેલ્લા કેટલાક દિવસથી દાવેદારોની સેન્સ લેવામાં આવી રહી છે. ત્યારે ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠક હાલ ભારે ચર્ચામાં છે. આ બેઠક પર અત્યાર સુધી ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણી ચૂંટણી લડતા હતા. હવે આ સીટ પર ભાજપ અધ્યક્ષ અમિત શાહનું નામ ભારે ચર્ચાઈ રહ્યું છે. સૂત્રો પાસેથી મળતી વિગતો પ્રમાણે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની લોકસભા એન્ટ્રીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ગાંધીનગર બેઠક ઉપર અમિત શાહ અડવાણીના અનુગામી બની શકે છે. આજે સવારે ખાનપુર અને બપોર બાદ ગાંધીનગર કાર્યાલય ખાતે ત્રણ પ્રદેશ નિરીક્ષકો આવશે. સંભવિત ઉમેદવારો અંગે કાર્યકરો અને આગેવાનોની સેન્સ લેવામાં આવશે. આ બેઠક માટે નટુજી ઠાકોર, ડો.નીમાબેન આચાર્ય અને પૃથ્વીરાજ પટેલને ગાંધીનગર બેઠકના નિરીક્ષકની જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ દાવેદારોની સેન્સ લેવાના છે. આ બેઠક માટે પૂર્વ સહકાર મંત્રી વાડીભાઈ પટેલ, અનાર પટેલ, નરહરિ અમીન સહિતના નામો પણ ચર્ચામાં છે.