નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરની સ્થિતિ અંગે મંગળવારે ગૃહમંત્રી અમિત શાહને એક વિસ્તૃત પ્રેઝન્ટેશન દર્શાવાયું હતું. આ સાથે 1 જુલાઈથી શરૂ થઈ રહેલી અમરનાથ યાત્રાની સુરક્ષા અંગે પણ માહિતી આપવામાં આવી હતી. અમિત શાહ ટૂંક સમયમાં જમ્મુ-કાશ્મીર જાય તેવી શક્યાત છે. સૂત્રોના જણાવ્યા મુજબ જમ્મુ કાશ્મીર વિધાનસભાના નવા સીમાંકન માટે એક પંચની રચના થઈ શકે છે. આ સાથે જ અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠકમાં પણ પરિવર્તન આવે તેવી શક્યતા છે.

વિધાનસભામાં જમ્મુની બેઠક વધારવા ભાજપ સીમાંકનની માંગ કરતું આવ્યું છે. છેલ્લે 1995માં જમ્મુ-કાશ્મીરનું સીમાંકન કરવામાં આવ્યું હતું. કાશ્મીરનું બંધારણ પ્રમાણે, દર 10 વર્ષે સીમાંકન કરવું જોઈએ. એ રીતે 2005માં સીમાંકન કરવું જોઈતું હતું પણ 2002માં તે સમયના મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાએ બંધારણમાં સુધારો કરી 2026 સુધી તેના પર પ્રતિબંધ મૂકી દીધો હતો. 2002માં એનડીએ સરકારે કુલદીપસિંહ કમિશન રચીને સીમાંકનની પ્રક્રિયા શરૂ કરી હતી પરંતુ જમ્મુ કાશ્મીરને બાકાત રાખવામાં આવ્યું હતું.

જમ્મુ કાશ્મીર વિધાનસભામાં 111 બેઠક છે. 24 બેઠક પાકિસ્તાન અધિકૃત કાશ્મીર માટે ખાલી રાખવામાં આવી છે. બાકીની 87 બેઠક માટે ચૂંટણી યોજાય છે. ભાજપની માંગ છે કે, સીમાંકન બાદ જમ્મુ ક્ષેત્રને વધુ બેઠક મળવી જોઈએ. હાલમાં કાશ્મીરની 46, જમ્મુની 37 અને લદ્દાખની 4 બેઠક છે. ભાજપે સૂચન કર્યું છે કે, પીઓકે માટે ખાલી રાખેલી બેઠકમાંથી 13 જમ્મુમાં વસેલા પશ્ચિમી પાકિસ્તાનના રેફ્યુજીને આપવામાં આવે.