મુરાદાબાદઃરામપુરથી ભાજપના ઉમેદવાર જયા પ્રદા વિરુદ્ધ આપતિજનક નિવેદન લઇને ઇલેક્શન કમીશનના પ્રતિબંધનો સામનો કરી ચૂકેલા સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાનના તેવરમાં કોઇ ઘટાડો થયો નથી. શુક્રવારે આઝમ ખાન મુરાદાબાદ પહોંચ્યા હતા અને એક રેલી સંબોધિત કરી હતી. અહીં પણ તેમણે ધર્મના નામ પર મત માંગ્યા હતા. આ અગાઉ સહારનપુરમાં બીએસપી વડા માયાવતીએ ધર્મના નામે મત માંગ્યા હતા તો ચૂંટણી પંચે તેમના પર 48 કલાકનો પ્રતિબંધ લગાવ્યો હતો.
રેલી સંબોધિત કરતા આઝમ ખાને કહ્યું કે, દેશમાં બે વિચારધારાઓ છે. આ ચૂંટણી લોકતંત્રને બચાવવા માટે છે. હવે મીનારોનું રક્ષણ કરો દુશ્મન એક થઇ ગયા છે. હું તમારો અવાજ બનવા આવ્યો છું. મુરાદાબાદની ઇદગાહ ભૂલી ગયા, અહી કબરમાં દફન થયેલા તમારા ભાઇઓ તમને સવાલ કરશે.


આઝમ ખાને કહ્યું કે, તમે એક થઇ જાઓ બીજેપીની સરકાર જતી રહેશે. ઉત્તરપ્રદેશ હિંદુસ્તાનની તકદીર બદલશે. મીડિયા પર તંજ કસતા આઝમ ખાને કહ્યું કે, આ આપણા દુશ્મન છે. મીડિયા પર પૈસા લેવાનો આરોપ લગાવી તેમણે કહ્યું કે, ટીવી જોવાનું બંધ કરો. જાલિમનું જવાનું નક્કી છે.