ઉંઝા બેઠક પર ડોક્ટર આશા પટેલે રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. રાજીનામું આપી આશાબેન પટેલ ભાજપમાં જોડાયા છે. જોકે, તેમના ભાજપમાં જોડાવાથી ઉંઝામાં ભાજપમાં ભારે વિરોધ ઊભો થયો હતો. તેમજ તેમને ટિકીટ આપવાને લઇને પણ કકળાટ થઈ રહ્યો છે. ત્યારે હજુ સુધી ભાજપ દ્વારા આ સીટ પર ઉમેદવાર જાહેર કરાયા નથી. પરંતુ આશાબેનના દાવા પ્રમાણે તેઓ આજે સવારે 10 કલાકે રેલી કાઢી વિજય મૂહુર્તમાં ભાજપમાંથી ઉમેદવારી નોંધાવશે. જોકે, કોંગ્રેસે આ બેઠક પર હજુ ઉમેદવારની જાહેરાત કરી નથી.
માણાવદર બેઠક પરથી જવાહર ચાવડાએ રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. રાજીનામું આપી ભાજપમાં જોડાયેલા જવાહર ચાવડાને કેબિનેટ મંત્રી બનાવી દેવાયા છે અને તેઓ માણાવદરથી ભાજપની સીટ પરથી ચૂંટણી લડવાના છે. અહીં કોંગ્રેસમાંથી અરવિંદ લાડાણીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે.
જામનગર ગ્રામ્ય બેઠક પરથી વલ્લભ ધારવીયાએ રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. જોકે, ભાજપે તેમને ટિકીટ આપી નથી. તેમની જગ્યાએ ભાજપે રાઘવજી પટેલને ટિકીટ આપી છે. આ બેઠક પર કોંગ્રેસે જેંતીભાઈ સભાયાને ટિકીટ આપી છે.
ધ્રાંગધ્રા બેઠક પરથી પરશોત્તમ સાબરિયાએ રાજીનામું આપતાં આ બેઠક ખાલી પડી છે. તેઓ રાજીનામું આપી ભાજપમાં જોડાયા છે અને તેઓ ભાજપની ટિકીટ પરથી ફરી અહીંથી ચૂંટણી લડવાના છે. ત્યારે કોંગ્રેસ તરફથી દિનેશ પટેલને ટિકીટ આપવામાં આવી છે.