મુંબઇઃ વડાપ્રધાન  મોદીએ સોમવારે કોગ્રેસ પર નિશાન સાધતા આરોપ લગાવ્યો હતો કે તેમણે શાંતિપ્રિય હિંન્દુઓ પર આતંકવાદી હોવાનો ઠપ્પો લગાવ્યો અને ધર્મ માર્ગ પર ચાલનારાઓનું અપમાનિત કરવાનું કામ કર્યું છે. વડાપ્રધાન મોદીએ ભાજપ-શિવસેના ગઠબંધન માટે ચૂંટણી પ્રચારની શરૂઆત કરતા મહારાષ્ટ્રના વર્ધામાં એક જનસભા સંબોધિત કરી હતી. વડાપ્રધાને કહ્યું કે, કોગ્રેસે ‘હિંદુ આતંકવાદ’ શબ્દની ખોજ કરી છે. મોદીએ કહ્યું કે, કોગ્રેસના નેતા હવે હિંદુ વસ્તી ધરાવતી  બેઠકો પર ચૂંટણી લડવાથી ડરી રહ્યા છે. વડાપ્રધાન મોદીનું નિશાન કોગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર હતું  જેઓ  અમેઠી સિવાય કેરલની વાયનાડ બેઠક પરથી પણ ચૂંટણી લડી રહ્યા છે. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોગ્રેસને ‘હિંદુ આતંકવાદ’ શબ્દનો પ્રયોગ કર્યો. તેમણે શાંતિપ્રિય હિંદુઓ પર આતંકવાદી હોવાનો ઠપ્પો લગાવ્યો. શું હિંદુ આતંકવાદની એક પણ ઘટના બની છે?


વડાપ્રધાન મોદીએ રેલીને સંબોધિત કરતા કોગ્રેસ અને એનસીપી ગઠબંધન પર પણ નિશાન સાધ્યું હતું. વડાપ્રધાને કહ્યું કે આપણી પાંચ હજાર વર્ષથી વધારે જૂની સંસ્કૃતિને  બદનામ કરવાનું પાપ કોગ્રેસે કર્યું છે. હિંદુ આતંકવાદ શબ્દ કોણ લાવ્યું તેના પર ધ્યાન રાખવું  જોઇએ. હજારો વર્ષના ઇતિહાસમાં હિંદુ ક્યારેય આતંકવાદની ઘટના બની નથી. અંગ્રેજી ઇતિહાસકારોએ પણ  ક્યારેય હિંદુઓ હિંસક  હોવાનો ઉલ્લેખ કર્યો નથી. મતબેન્કની રાજનીતિમાં કોગ્રેસ અને એનસીપી કોઇ પણ હદે જઇ શકે છે.