હિંમતનગર: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદી ઝાપટા પડ્યા હતાં. ભારે વરસાદના કારણે હિંમતનગરમાં યોજાનારી પીએમ નરેન્દ્ર મોદીની સભાનો મંડપ પણ ઉડી ગયો હતો. વરસાદના કારણે અન્ય કેટલીક જગ્યાઓએ પણ રાજકીય સભાઓ અને સામાજિક પ્રસંગોના મંડપ બાંધવામાં લોકોને મુશ્કેલીઓ નડી હતી.



નરેન્દ્ર મોદીની સભા માટે ભાજપ દ્વારા મોટો ડોમ તૈયાર કરવામાં આવ્યો હતો. પરંતુ વાતાવરણમાં પલટો આવતાં વાવાઝોડું ફૂંકાયું હતું. વડાપ્રધાનની સભા માટે તૈયાર કરાયેલા ડોમના કાપડ પવનમાં ઉડી ગયા હતા અને ભારે નુકસાન થયું હતું. જ્યારે સભામાં સાંભળવા આવનાર લોકો માટે મૂકવામાં આવેલી ખુરશીઓ તૂટી હતી અને વેરણછેરણ પડી હતી.

ગુજરાતમાં 26 લોકસભા મતવિસ્તારમાં મતદાનને આડે હવે એક સપ્તાહ કરતાં ઓછો સમય બાકી રહ્યો છે ત્યારે ભાજપ અને કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓના પ્રચાર પ્રવાસો તેજ બન્યા છે. ભાજપના સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારથી દોઢ દિવસ ગુજરાતના ઝંઝાવાતી પ્રચાર પ્રવાસે આવી રહ્યા છે.

ભાજપના પ્રમુખ જીતુ વાઘાણીએ માહિતી આપતાં જણાવ્યું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદ તેમજ 18મીને ગુરુવારે સવારે અમરેલીમાં જંગી જાહેરસભાઓ સંબોધનાર છે. વડાપ્રધાન બુધવારે દેશના અન્ય પ્રદેશોમાં પ્રચારસભાઓ સંબોધીને સીધા બપોરે 1 વાગે સાબરકાંઠા લોકસભા મતવિસ્તારના હિંમતનગર ખાતે સભા સંબોધશે.