નવી દિલ્હીઃ ભોપાલથી ભાજપના ઉમેદવાર પ્રજ્ઞા સિંહ ઠાકુર પર ચૂંટણી પંચે 72 કલાકનો પ્રતિબંધ લગાવ્યો છે. સાધ્વી ગુરુવાર સવારે છ વાગ્યાથી લઇને 72 કલાક સુધી ચૂંટણી પ્રચાર નહી કરી શકે. બાબરી મસ્જિદ તોડવા પર ગર્વ છે વાળા નિવેદન પર ચૂંટણી પંચે સાધ્વી પ્રજ્ઞાને દોષિત માન્યા છે. નોંધનીય છે કે મુંબઇ આતંકી હુમલામાં શહીદ હેમંત કરકરે પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારા સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુરે બાબરી મસ્જિદને લઇને વિવાદીત નિવેદન આપ્યુ હતું. સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, બાબરી મસ્જિદનો ઢાંચો તોડવાનો અફસોસ કેમ હશે તેના પર તો અમે ગર્વ કરીએ છીએ. રામના મંદિર પર કચરો હતો જેને અમે હટાવ્યો હતો. એનાથી આપણા દેશનું સ્વાભિમાન જાગ્યુ હતુ. અમે ભવ્ય રામ મંદિર બનાવીશું. તેમણે દાવો કર્યો હતો કે તે બાબરી મસ્જિદને ઢાંચો તોડી પાડવામાં સામેલ હતી.

ત્યારબાદ રામ મંદિર કેમ ના બની શક્યું તેવા સવાલના જવાબમાં સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, 70 વર્ષ થઇ ગયા. તેમણે શું હાલત કરી છે. આપણા દેવસ્થાનો પણ સુરક્ષિત નથી. ભવ્ય મંદિર બનાવીને આરાધના કરીશું. આ અગાઉ સાધ્વી પ્રજ્ઞાએ શહીદ કરકરેને લઇને વિવાદીત નિવેદન આપ્યું હતું.