નવી દિલ્હીઃ ભોપાલથી ભાજપના ઉમેદવાર સાધ્વી પ્રજ્ઞા સિંહની મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. મુંબઇ હુમલામાં શહીદ  હેમંત કરકરે પર આપેલા નિવેદનને લઇને ચૂંટણી  પંચે પ્રજ્ઞાને નોટિસ મોકલી છે અને 24 કલાકમાં જવાબ માંગ્યો છે. ભોપાલના જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ  ભોપાલ કલેક્ટર સુદામ ખાડેએ કહ્યું કે, તેમણે આ નિવેદન પર જાતે સંજ્ઞાન લીધું છે અને આ મામલામાં સહાયક ચૂંટણી અધિકારી પાસે રિપોર્ટ માંગ્યો છે.


ખાડેએ કહ્યું કે, અમે આ કાર્યક્રમના આયોજક અને આ નિવેદન આપનારા વ્યક્તિ વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે અને 24 કલાકમાં જવાબ માંગ્યો છે. અમે  સહાયક ચૂંટણી અધિકારીનો રિપોર્ટ ચૂંટણી પંચને  મોકલીશું. તેમણે આચાર સંહિતા દરમિયાન કાર્યક્રમના આયોજકને કેટલીક શરતો પર કાર્યક્રમ આયોજીત કરવાની મંજૂરી આપી હતી. આ મામલામાં ચૂંટણી પંચે ભોપાલ ભાજપ અધ્યક્ષ વિકાસ વિરાનીને નોટિસ મોકલી છે.

નોંધનીય છે કે 18 એપ્રિલે ભાજપ કાર્યકર્તાઓની  બેઠકમાં સાધ્વી  પ્રજ્ઞાસિંહે વિવાદિત નિવેદન આપ્યું હતું. પ્રજ્ઞાસિંહે મુંબઇ એટીએસના તત્કાલિન ચીફ હેમંત  કરકરે પર જેલમાં  યાતના આપવાનો આરોપ લગાવતા કહ્યું હતું કે, કરકરેનો સર્વનાશ થાય તેવો શ્રાપ આપ્યો હતો. પ્રજ્ઞા સિંહના મતે  તેમના આ નિવેદનના ફક્ત સવા મહિનામાં કરકરે  મુંબઇ આતંકી હુમલામાં માર્યા ગયા હતા.