નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઇને એક્ઝિટ પોલના પરિણામો  ભાજપ માટે સારા સમાચાર લઇને આવ્યા છે. લગભગ તમામ એક્ઝિટ પોલ્સમાં એક વાર ફરી એનડીએ સરકાર બનવાના સંકેત મળી રહ્યા છે. ટાઇમ્સ નાઉ- VMR, સી વોટર અને જન કી બાતના એક્ઝિટ પોલ્સના અંદાજ અનુસાર,એકવાર ફરી ભાજપ કેન્દ્રમાં સરકાર બનાવી લેશે. ટાઇમ્સ નાઉ- VMR દ્ધારા કરવામાં આવેલા એક્ઝિટ પોલના અનુસાર,  ભાજપના નેતૃત્વમાં એનડીએ સત્તામાં વાપસી કરી રહી રહ્યું છે. મોદી લહેર સામે સત્તા વિરોધી લહેર ચાલી નથી. આ પોલ્સ અનુસાર ઉત્તરપ્રદેશમાં મહાગઠબંધન ભાજપને ટક્કર આપી રહ્યું નથી. વિપક્ષના તમામ આરોપો વચ્ચે લોકોએ મોદી સરકાર પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ટાઇમ નાઉ- VMR એક્ઝિટ પોલ અનુસાર, એનડીએને 542 બેઠકોમાંથી 306 બેઠકો મળી શકે છે જે બહુમતના આંકડાથી વધુ છે. જ્યારે યુપીએને 132 બેઠકો મળી શકે છે. મહાગઠબંધનને 20 અને અન્યના ખાતામાં 84 બેઠકો આવી શકે છે. સી-વોટરના એક્ઝિટ પોલ અનુસાર એનડીએની બહુમત ધરાવતી સરકાર બનવાના સ્પષ્ટ સંકેત મળી રહ્યા છે. સી-વોટરના મતે એનડીએને 287 બેઠકો મળી શકે છે જ્યારે યુપીએને 128 બેઠકો જીતી શકે છે. મહાગઠબંધનને 40 અને અન્યના ખાતામાં 87 બેઠકો જઇ શકે છે. જન કી બાત એક્ઝિટ પોલ અનુસાર, એનડીએ 305, યુપીએ 124 અને મહાગઠબંધનને 26 અને અન્ય પક્ષો 87 બેઠકો મળી શકે છે. નોંધનીય છે કે જો 23 મેના રોજ પરિણામો એક્ઝિટ પોલ અનુસાર રહ્યા તો નરેન્દ્ર મોદીની સરકાર ફરીવાર સત્તામાં વાપસી કરી શકે છે.