નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી 2019ના પરિણામો અગાઉ જે એક્ઝિટ પોલ જાહેર કરાયા છે તેનાથી વિપક્ષમાં ખળભળાટ મચી ગયો છે. કોગ્રેસ નેતા રાશિદ અલ્વીએ નિવેદન આપ્યું છે કે જો એક્ઝિટ પોલના પરિણામો સાચા સાબિત થાય છે તે તેનો અર્થ એ થયો કે ઇવીએમમાં ગરબડ થઇ છે. તેમણે કહ્યું કે, તમામ એક્ઝિટ પોલ એકતરફ પરિણામ બતાવી રહ્યા છે એટલા માટે અમે તેના પર વિશ્વાસ કરી રહ્યા નથી.


એક ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં રાશિદે કહ્યું કે, જો એક્ઝિટ પોલ જેવા રિઝલ્ટ આવશે તો અમારુ માનવું છે કે છેલ્લા દિવસોમાં ત્રણ રાજ્યોમાં ચૂંટણીમાં જ્યાં જ્યાં કોગ્રેસનો વિજય થયો છે તે એક કાવતરું હતું. તેમણે કહ્યું કે, ત્રણેય રાજ્યોમાં કોગ્રેસની જીત સાથે વિશ્વાસ અપાવામાં આવ્યો છે કે ઇવીએમ યોગ્ય છે. તેનાથી સાબિત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે કે ચૂંટણી પંચ પર સરકારની કોઇ દખલગીરી નથી.

આ સાથે રાશિદ અલ્વીએ એક્ઝિટ પોલ કરનારી કંપનીઓ પર સવાલ ઉઠાવ્યા હતા.  કોગ્રેસ નેતાએ કહ્યું કે, છેલ્લા દિવસોમાં તેમાંની કેટલીક કંપનીઓ પર સ્ટિંગ ઓપરેશન થયા હતા જેનાથી સાબિત થયું હતું કે, આ ન્યૂટ્રલ નથી. નોંધનીય છે કે જાહેર કરાયેલા તમામ એક્ઝિટ પોલમાં એનડીએની બહુમતથી સરકાર બનશે તેવી આગાહી કરવામાં આવી છે. કેટલાક એક્ઝિટ પોલમાં તો ભાજપનં ગઠબંધનને 300નો આંકડાને પાર કરી દે તેવી સંભાવના વ્યક્ત કરાઇ છે.