નવી દિલ્હીઃ જેટ એરવેઝની ઉડાણો ઠપ થવાના કારણે એ મુસાફરોએ નુકસાન ઉઠાવવું પડ્યુ છે જેણે આ એરલાઇન્સમાં એડવાન્સમાં ટિકિટ બુક કરાવી હતી. આ મુસાફરોએ એડવાન્સમાં ટિકિટ બુક કરાવતા કરોડો રૂપિયા ફસાયેલા છે અને તેમને રિફંડ પણ મળી રહ્યું નથી. એટલું જ નહી જેટ એરવેઝ બંધ થઇ જતા હવે આ મુસાફરોએ અન્ય એરલાઇન્સમાં ઉંચી કિંમત સાથે ટિકિટ ખરીદવી પડી રહી છે.

જાણકારોના મતે જે દિવસે જેટ એરવેઝની ઉડાણ બંધ થઇ ગઇ હતી તે સમય સુધીમાં કંપનીએ 3500 કરોડ રૂપિયાની ટિકિટ બુક કરી ચૂકી હતી. આ મુસાફરોને પોતાના રિફંડ માટે રાહ જોવી પડી શકે છે. એક્સપર્ટના મતે સરકાર આ મામલે હસ્તક્ષેપ કરે જેથી નિયમો હેઠળ મુસાફરોને તેમના પૈસા મળે અથવા તો તેમને બીજી એરલાઇન્સમાં મુસાફરી કરાવવામાં આવે.

ટ્રાવેલ એજન્ટ એસોસિયેશનના પૂર્વ અધ્યક્ષ સુભાષ ગોયલનું કહેવું છે કે સરકાર અને ડીજીસીએ બીજી એરલાઇન્સને જેટની ટિકિટો સ્વીકાર કરવા અને તેના મુસાફરોને પોતાની ફ્લાઇટમાં સ્થાન આપવાના નિર્દેશ આપી શકે છે. એક્સપર્ટ હર્ષવર્ધનના મતે જો સરકારે અગાઉ હસ્તક્ષેપ કર્યો હોત તો જેટને એડવાન્સમાં ટિકિટ બુક કરતા રોકી શકી હોત અને મુસાફરોના રૂપિયા બચી ગયા હોત.

એક રિપોર્ટ અનુસાર, કંપની ફરી શરૂ થાય તો મુસાફરોને તેમના રૂપિયા મળી શકે છે. તે સિવાય બેન્ક કંપનીની સંપત્તિ વેચીને રેશ્યોના આધાર પર મુસાફરોને રિફંડ આપી શકે છે. બીજી તરફ જેટ એરવેઝના કર્મચારીઓએ પોતાની બાકી સેલેરી અને કંપનીને મદદ કરવા માટે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો છે. તેમણે નાણામંત્રી જેટલીને મળીને મદદની અપીલ કરી હતી.